કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 21 જુલાઈ, 2012

આ જોડણીકોશ સાર્થ છે કે અનર્થ

વાઘરી, બારૈયો, હજામ, વાળંદ, દલિત માટેના અપમાનસૂચક અર્થો દૂર કરવા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરને પત્ર

આદરણીય સુદર્શનભાઈ,

કુશળ હશો.
સાર્થ ગુજરાતી જોડણીકોશની પુરવણી સહિતની પાંચમી પુનર્મુદ્રીત આવૃત્તિ ઓક્ટોબર, 2008માં બહાર પડી. 1024 પાનાનો આ જોડણીકોશ આપણી ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ એવો કોશ છે, જેણે જોડણીના ક્ષેત્રે પ્રવર્તતી અરાજકતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. 2008ની આવૃત્તિમાં કુલનાયકના નિવેદનમાં આપે વર્તમાન સમયમાં ચાલતા જોડણીના વિવાદની નોંધ લીધી છે. આપ લખો છો, "છેલ્લા બે-એક દાયકાઓમાં ગુજરાતી ભાષામાં જોડણીના પ્રશ્ને સારો વિવાદ જાગ્યો. વિવાદને લીધે નવી આવૃત્તિ બહાર પાડી શકાતી નથી એવું કહી શકાય તેમ નથી, પરંતુ જ્યારે વિવાદ પુરબહારમાં છે ત્યારે સુધારેલી આવૃત્તિ કાળજીપૂર્વક અને આધિકારીક રીતે થાય તે જરૂરી છે." પ્રથમ આવૃત્તિ 1929માં બહાર પડી ત્યારે પણ "હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી", એવું ગાંધીજીએ કહેલું.

ગુજરાતી ભાષાની જોડણી કેવી હોવી જોઇએ એની તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ, એમાં બેમત હોઈ જ ના શકે. 1929થી માંડીને 2008 સુધીના 79 વર્ષ સુધી આ પ્રશ્ન પર ચર્ચા થતી રહે અને કોઈ પૂર્ણવિરામ ના મુકાય એ જોકે, એક બુદ્ધિમાન પ્રજા તરીકેના આપણા દાવા અંગે કેટલાક પ્રશ્નો અવશ્ય પેદા કરે છે. ખેર, મારા માટે જોડણી કરતા પણ વધારે મહત્વનો એક અન્ય મુદ્દો છે, જેના તરફ આપ જેવા સંવેદનશીલ વિદ્વાનનું ધ્યાન દોરાય તે જરૂરી સમજું છું.

સાર્થ જોડણીકોશમાં કણબી એટલે બાયલો, અશક્ત પુરુષ; વાઘરી એટલે ગંદો, અસભ્ય કે નીચ માણસ; કુંભાર એટલે અણઘડ વ્યક્તિ, બારૈયો એટલે ચોરી કે લૂંટફાટ કરનારો; હજામ એટલે નકામો માણસ; ઢેડવાડો એટલે ગંદી, અસ્વચ્છ જગ્યા જેવા અર્થો હતા તેની સામે 1985માં વિરોધનો સૂર ઉઠ્યો હતો. આ લખનારે આ અનર્થો સામે લોકઝૂંબેશ ઉપાડી હતી અને સાર્થ જોડણીકોશની હોળી કરવાનો કોલ આપ્યો હતો. મુળજીભાઈ ખુમાણ પ્રેરીત 'દિશા' પાક્ષિકમાં મેં 'હવે પછી કોઇને સ્વેચ્છાએ બહુજન સમાજની લાગણી દુભવવાનો અધિકાર નથી' એવા શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આ લેખના પ્રતિભાવરૂપે મુરબ્બી શ્રી વાસુદેવ મહેતાએ 'સંદેશ'માં તેમની અલ્પવિરામ કોલમમાં લખેલું કે, "સોલંકી એવું માનતા લાગે છે કે સવર્ણો બંધબારણે આવા અર્થો કરવાનો ઠરાવ કરતા હશે." પછી મહેતાસાહેબને મેં એક પત્ર પાઠવ્યો હતો, જેનો એમણે જવાબ વાળવાનું મુનાસીબ માન્યું નહોતું. અલબત્ત, અમારી લડતને કારણે ત્યાર બાદ સાર્થ કોશની આવૃત્તિમાંથી કેટલાક શબ્દોના અર્થો ચુપચાપ કાઢી નંખાયા હતા.

આજે 2012માં 27 વર્ષ પછી આ મુદ્દો ફરી કેટલાક કારણસર જાહેરમાં ચર્ચવાની મને ફરજ પડી છે. 2008ની છેલ્લી આવૃત્તિમાંથી કણબી, વાઘરી, કુંભાર માટેના પૂર્વગ્રહયુક્ત અર્થો કાઢી નંખાયા છે. જ્યારે બારૈયો અને હજામ માટેના જૂની આવૃત્તિઓમાં છપાયેલા અર્થો યથાવત છે. બારૈયૌ (પાના નંબર 595) શબ્દના નીચે મુજબના અર્થો યથાવત છે: 1. બહાર રખડતો રહી ચોરી કે લૂંટ કરનાર, 2. ઠાકરડાની એક જાત, 3. ઝાડુ દેનાર તથા સંડાસ વાળનાર – ભંગી. ઢેડ (પાના નંબર 398) શબ્દ સાથે સંકળાયેલા શબ્દો જેવા કે ઢેડગરોળી, ઢેડણ, ઢેડવાડો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય શબ્દો અગાઉની આવૃત્તિઓમાં હતા, જે દૂર કરવામાં આવ્યા છે, પરંતુ ઢેડ શબ્દ અનુસૂચિત જાતિઓ માટે સવર્ણો દ્વારા વપરાતો તિરસ્કારયુક્ત શબ્દ છે, જે એટ્રોસિટી એક્ટ હેઠળ સજાને પાત્ર છે. આ તમામ શબ્દો જોડણીકોશમાંથી દૂર થઈ જાય તો ગુજરાતી ભાષાનું ગૌરવ વધે કે ઘટે?

મજાની વાત તો એ છે કે બામણ અને બામણી (પાના નંબર 594)ના અર્થો આપતી વખતે કોશકારે આ અર્થો 'બહુધા તિરસ્કારમાં' વપરાય છે તેવી નોંધ મુકવાની કાળજી લીધી છે, આવી કાળજી બારૈયો કે ઢેડ શબ્દમાં કેમ લેવામાં આવી નથી? બારૈયો અને ઢેડ જેવા શબ્દો સાર્થ કોશમાં સામેલ નહીં કરવાથી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જ જોખમાઈ જશે એવી કોશકારને સો ટકા ખાતરી હોય તો પણ આ શબ્દો 'તિરસ્કારમાં વપરાય છે' તેવી નોંધ મુકતા તેમને કેમ ચૂંક આવે છે? મારા કહેવાનો ભાવાર્થ સ્પષ્ટ કરવા હું એક ઉદાહરણ આપીશ. વિદ્યાપીઠમાં અવારનવાર વિદેશથી અસંખ્ય લોકો આવે છે. ગુજરાતમાં હરતા ફરતા, બસમાં, હોટલમાં, શેરીઓમાં  'ઢેડ' જેવા શબ્દો એમના કાને અથડાઈ શકે છે. એમને આ શબ્દો વિશે જાણવાનો હક છે. સ્વભાવિક છે કે તેઓ સાર્થ કોશમાં આ શબ્દોના અર્થો શોધવાનો પ્રયાસ કરે. એમને આપણે જણાવવું જોઇએ કે આ શબ્દ એટલો મલીન, ગંદો, બિભત્સ અને કુત્સિત હતો કે ગાંધીજીએ તેના પર્યાયરૂપે 'હરીજન' શબ્દ આપ્યો. સાર્થ જોડણીકોશમાં આ ઇતિહાસ સામેલ કેમ ના થાય? આ જ કોશના પાના નંબર 883 પર હરિજન શબ્દના અર્થો આપ્યા છે: 1. હરિનો-વિષ્ણુનો માણસ, દેવદૂત, 2. ભક્ત. આમાં ગાંધીજીએ હરિજનનો જે અર્થ આપ્યો તે શું જાણીબૂઝીને ટાળવામાં આવ્યો છે?

સાર્થ ગુજરાતી જોડણીકોશ ઉપરાંત, ગુજરાતી-હિન્દી કોશની ડીસેમ્બર 1992માં બહાર પડેલી આવૃત્તિમાં કુંભાર (પાના નંબર 18) એટલે अनगढ़ या मूर्ख व्यक्ति, ઢેડ (પાના નંબર 227) એટલે इस नाम की अंत्यज जाति का आदमी,  ઢેડ ગુજરાતી એટલે अंग्रेजीमिश्रित गुजराती, ઢેડ ફજેતી એટલે सब के सामने या खुलेआम फजीहत, ઢેડવાડો એટલે 1.ढेड लोगों का मुहल्ला या टोला, 2. गंदी-अस्वच्छ जगह, मैला, વાઘરી (પાના નંબર 450) એટલે गंदा, असभ्य नीच व्यकित, વાઘરણ એટલે गंदी, फूहड स्त्री જેવા અર્થો આપ્યા છે. મૂળ ગુજરાતી સાર્થ કોશની નકલ હિન્દી કોશમાં કરવામાં આવી હોવાથી સ્વભાવિક રીતે આ બન્યું છે. પરંતુ, કણબી, બારૈયોના અર્થો આમાં બાકાત રાખવા પાછળ કયો તર્ક હશે? કે પછી પ્રુફ રીડિંગની ભૂલો?

એ જ રીતે હિન્દી-ગુજરાતી કોશની જુલાઈ 2009માં પુનર્મુદ્રીત થયેલી આવૃત્તિમાં કણબી, બારૈયો, વાઘરી-વાઘરણ શબ્દો જ નથી. જ્યારે કુંભાર અને હજામના અર્થો સાર્થ ગુજરાતી જોડણી કોશમાં આપેલા અર્થો જેવા પૂર્વગ્રહયુક્ત નથી. પરંતુ, ઢેડ (પાના નંબર 233) શબ્દનો અર્થ 1. कागडो, 2. हलकी जाति, 3. मूर्ख, 4. कपासनुं जींडवुं આપ્યા છે. જે જાતિઓના અર્થો આપ્યા નથી, એ જાતિઓ ગુજરાતમાં નેસ્તનાબૂદ થઈ નથી તો, એમના અર્થો નહીં આપવા પાછળ કયો તર્ક હશે? અને ગાંધીજીએ જે શબ્દનો વિકલ્પ આપ્યો હતો, તે શબ્દ માટે આટલો બધો પ્રેમ કેમ? આપ તો એક વિદ્વાન સમાજશાસ્ત્રી છો. આપને હંમેશાં આદરથી સાંભળ્યા છે, સ્મર્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં મારા યુવાનીના કિંમતી વર્ષો અભ્યાસી પ્રબુદ્ધજનોના વિચારવારસાને વાંચવામાં મેં આપ્યા છે. દુખ એ વાતનું છે કે ગુજરાતી સમાજે જે કેટલીક ચીજો કાળની ગર્તામાં વિલીન કરી દેવી જોઇએ, જે પૂર્વગ્રહોને દાટી દઇને સમરસ-સમાન થઈ જવું જોઇએ, એ જ શબ્દો ફરી પાછા (રીપીટ ફરી પાછા) સાર્થ જોડણી કોશ જેવા પવિત્ર, અધિકૃત ગ્રંથમાં આવે ત્યારે આંખો આશ્ચર્યથી પહોળી તો થાય છે જ, સાથે સાથે દિલ અત્યંત ગ્લાનીથી ભરાઈ આવે છે. આ શબ્દોને આપણે કેમ ભોંયમાં ભંડારી શકતા નથી? કે હજુ આપણે આપણા વડવાઓની જાતિવાદી માનસિકતા જાણ્યે-અજાણ્યે પોષી રહ્યા છીએ?

વર્ષોથી આ લાગણી મારા હ્રદયમાં સંઘરીને બેઠો છું. આજે તમારી સમક્ષ ઠાલવું છું. ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે પરમ આદરની લાગણી છે. દેશકાળમાં ધર્મઝનૂનીઓએ માઝા મૂકી છે, સમરસતાના નામે કત્લેઆમની ચીચીયારીઓ સંભળાય છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ તેના ગૌરવને લાંછન લગાડે તેવી આ ક્ષતિ વેળાસર દૂર કરે તેવી જ પ્રાર્થના.

આપનો

(રાજુ સોલંકી)













રવિવાર, 15 જુલાઈ, 2012

વશિષ્ઠ કે વિશિષ્ઠ?



દીપક સોલિયા "દિવ્ય ભાસ્કર"ના એડિટ પેઇજ પર "મુદ્દો એક તરફ, ધ્યાન બીજી તરફ" કોલમમાં લખે છે: "બહેનને કોઈ ઓળખતું નહોતું. એટલે ગેહના વિશિષ્ઠ જેવું નામ વિશિષ્ઠ નામ ધરાવતી આ બી ગ્રેડ ફિલ્મની અભિનેત્રીએ બિકીની પહેરી. એ ઉપરાંત શરીર પર ભારતીય રાષ્ટ્રધ્વજ પણ જરાક વીંટાળ્યો. પછી ફોટા પડાવ્યા. ફોટા લીક થયા. હોબાળો મચ્યો. ટોળાએ એની કારનો કાચ તોડ્યો. મોડેલ પર પથ્થર ફેંકાયો. એને કપાળે લોહી નીકળ્યું. આ ઘટનામાં પાછળથી એવી હકીકત બહાર આવી કે મોડેલના પીઆર મેનેજરે પ્રચાર માટે આખો ડ્રામા ઉભો કરાવ્યો હતો. હુમલાખોરોને દેકારો કરવા માટે પૈસા અપાયેલા. આખું શુટીંગ પ્લાનિંગ સાથે કરવામાં આવેલું. પૈસા લઇને નારાબાજી કરનાર શાંતાબાઈનું વિધાન છાપે ચડ્યું, "છોકરીનું પ્લાનિંગ બરાબર નહોતું. મને છેલ્લી ઘડીએ કહ્યું. પહેલેથી કહ્યું હોત તો મેં એમને બહેરામબાગમાં વધુ મોટા ટોળા સાથે આખો હોબાળો યોજવા કહ્યું હોત. એ વધુ સારી જગ્યા છે. ત્યાં એને સુપર પબ્લિસિટી મળી હોત."

તો, સાથીઓ, દીપક સોલિયાના આ વર્ઝનમાં તમને બિટ્વીન ધી લાઇન્સ કંઈ દેખાય છે? દીપકે છોકરીની અટક "વશિષ્ઠ" છે એ છુપાવ્યું. સ્વામિનારાયણના લંપટ બાવાઓની કામલીલાનો ચિતાર આપતી વખતે કોઇપણ જાતના પુરાવા વિના દલિત કન્યાને એ પ્રકરણમાં સંડોવનારું છાપુ બ્રાહ્મણ કન્યાની લંપટતાને કેવી રીતે છાવરે છે તેનો આ સાત્વિક પુરાવો છે. આ લેખનું નામ છે "ધ્યાન-એકાગ્રતા ફંટાવવાની કળા".

મંગળવાર, 3 જુલાઈ, 2012

કોની કમર તોડી?

પોલીસ દમનનો ભોગ બનેલી દલિત યુવતી રૂપા સોંદરવા


રાજકોટના થોરાળા વિસ્તારમાં 25 જૂને એક દલિત યુવાનની હત્યા પછી દલિતો પર થયેલા પોલીસ દમનની વિગતો અખબારોમાં આવી નથી. સોળ વર્ષની રૂપા સોંદરવા ઘરમાં ઉપલા માળે રાંધતી હતી. પડોશના ઘરના દરવાજામાં બાકોરું પાડીને દાખલ થયેલા પોલીસો અગાસીમાંથી રૂપાના ઘરમાં ઘૂસ્યા અને તેને લાકડીઓથી ઝૂડવા માંડી. રૂપા બીકની મારી સીડી તરફ દોડી તો તેને પીઠ પર લાત મારી, સીડી પરથી ગબડાવી તેની કમર તોડી નાંખી. રૂપાને રાજકોટ સીવીલમાં સારવાર મળી નહીં, પોલીસના ડરથી તેના કેસના કાગળોમાં કમર તૂટવાનું કારણ પણ લખાયું નહીં.


ત્રીસમી તારીખે રાજકોટની મુલાકાતે અમે ગયા હતા. રૂપાના ઘર આગળ જ અમે બેઠા હતા. રૂપાના પિતા સવજીભાઈને ફરિયાદ કરવા માટે સમજાવ્યા. "મેં હવારે જ મારું ઘર ગીરવે મુક્યું સે 30,000 રૂપિયામાં. હું મારી દીકરીને પાઇવેટમાં દાખલ કરીશ, ફરિયાદ કરું તો મારા હાડકા ભાંગી નાંખશે, હું આ ઘરને તાળા મારીને જતો રહીશ," આ એમના શબ્દો હતા. "તમે અમારા સમાજના છો, એટલે તમારા માટેની લાગણીથી પ્રેરાઈને અમે અહીં આવ્યા છીએ. રૂપાને અહીં સારવાર ના મળે તો અમદાવાદમાં લઈ આવજો," આનાથી ઝાઝુ સવજીકાકાને કહી શકાય એમ નહોતું.  

બીજા દિવસે રાત્રે બાર વાગે સંબંધીઓ રૂપાને અમદાવાદ લાવ્યા. તેમની સાથે રહીને રૂપાને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પછી સતત આપણે તેમના સંપર્કમાં છીએ. હાલ તેને સ્પાઇન વિભાગમાં લઈ ગયા છે. રૂપાને સારામાં સારી સારવાર મળે તે માટે આપણે સૌ કૃતનિશ્ચયી છીએ, પરંતુ હવે ખરેખર આભ ફાટ્યું છે. રૂપાના ઘરથી થોડેક જ દૂર રહેતા આંબેડકરનગરના નવ વર્ષના કરણને હવે યાદ જ નહીં હોય કે એણે કેટલીવાર જાહેરમાં એનું પેન્ટ ઉતાર્યું અને લોકોને એના ગુપ્તાંગ પર થયેલી ઇજા બતાવી. "પોલીસે મને એકી કરવાની જગ્યાએ લાત મારી," એવું એ કહીને એ એની માતા જયાબહેનને જે રીતે બાથ ભીડી દે છે એ દ્રશ્ય જોઇએ તો ખબર પડે કે એના પર શું વીતી રહી છે.
અમારી રાજકોટ મુલાકાત ટાણે જ અનુસૂચિત જાતિ આયોગના રાજુ પરમાર લાલ લાઇટવાળી ગાડીમાં આવેલા. એમની સાથે ફોન પર વાત કરી. એમને કરણના કિસ્સા અંગે માહિતી આપતા એમણે તાત્કાલિક કલેક્ટર કચેરીમાં આવી જવા જણાવ્યું. કરણે કલેક્ટર કચેરીમાં પણ પેન્ટ ઉતાર્યું. આ વખતે તે માતાની સોડમાં ભરાયો નહીં, મક્કમતાથી ઉભો રહ્યો. કલેક્ટર ત્રીવેદી, એસીપી ડો. રાવના ચહેરાઓ પર ભોંઠપ જણાતી હતી. આયોગે કલેક્ટરને એક્શન ટેકન રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો અને પાંચ વાગ્યાની ફ્લાઇટ પકડવા ઉતાવળે રવાના થયા.

અમે પાછા આંબેડકરનગર આવ્યા. હજુ ઘણી વિતકકથાઓ રાહ જોતી હતી. 42 વર્ષના પ્રવીણ નકુમને ઘરમાં ઘૂસીને માર્યા, ત્રણ દિવસ ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યા, છોડી મૂક્યા. એમને એટલા ભયંકર રીતે મારેલા કે પાંચ દિવસ પછી અમે મળ્યા ત્યારે પણ એમના ઘા રૂઝાયા નહોતા. એમના દીકરાને વાળ પકડીને ઢસડીને લઈ ગઈ પોલીસ અને તેને પણ જેલમાં પૂરી દીધો. પ્રવીણભાઈના પત્નીની કાનમાં ભરાવેલી વાળી એટલા જોરથી ખેંચેલી કે ઘસરકો પડી ગયેલો. હજુ એ ઘસરકો એમના ચહેરા પર મોજુદ છે. "પગના તળીયા પર લાકડીઓ મારેલી, સોજા ચડી ગયેલા, માંડ માંડ ઉતર્યા," માત્ર પંચીયુ પહેરીને બેઠેલા પ્રવીણ છૂટક મજૂરી કરે છે.

જન્મથી વાંકી ડોક લઇને જન્મેલી ભાવનાને તેના માતા અમારી પાસે લઈ આવ્યા હતા. ભાવનાના બંને ભાઈઓને પોલીસ પકડીને લઈ ગઈ છે. "મારી દીકરીને પણ એમણે છોડી નહીં, ધબાધબ લાકડીઓ વીંઝી એના પર," ભાવનાના માતાએ રડમસ ચહેરે જણાવ્યું હતું. પેલા કરણના મોટાભાઈ મૂકેશે પણ એનો પાટાપીંડી કરેલો પગ બતાવીને કહ્યું હતું કે તેના પર પણ પોલીસે લાકડીઓ ફટકારી હતી. "પોલીસ વંડી ઠેકીને અમારા ઘરમાં ઘૂસી. અમે તો જમતા હતા. એ લોકો તો બસ મારવા જ માંડ્યા. મારા બીજા બે મોટા દીકરાઓ પકડીને લઈ ગયા. મેં બઉ રાડ્યું પાડી, પણ મારું હાંભળે કોણ?" જયાબહેનની વાત બિલકુલ સાચી હતી. સાંભળે કોણ?

25મી જૂને ગુણવંતની હત્યા થઈ. આ "ગુણો" થોરાળાના દલિતોનો હીરો હતો. દલિતોમાં દરેક ઠેકાણે આવા ગુણાઓ છે. જેતલપુરમાં શકરો આવો જ બહાદુર હતો. પંચાયતની કચેરીમાં પૂરીને પટેલોએ એને અમસ્તો સળગાવ્યો નહોતો. ધાડાના પેલા રમેશને દરબારોએ ગામ વચાળે ટ્રેક્ટર નીચે કચડી મારેલો એ રમેશે દરબારોની આંખમાં આંખ મીલાવવાની કિંમત ચૂકવી હતી. હૈદરાબાદથી મિલિટ્રીની તાલિમ લઇને ઘરે આવેલા સાયલા તાલુકાના કરાડી ગામના દલિત યુવાને એની સાત પેઢીઓમાં કદાચ પહેલીવાર ગામના ચોરે જુગાર રમતા દરબારોને ઠપકો આપવાની "ગુસ્તાખી" કરી અને એના સીનામાં ગોળીઓ ધરબાઈ ગઈ. ગુણો એન્ટી-સોશીયલ હતો, બુટલેગર હતો. "પણ અમારા માટે દીવાલ હતો. ગુણો જીવતો હતો ત્યાં સુધી થોરાળામાં પોલીસ ઘૂસી શકતી નહોતી," થોરાળાના દલિતો આવું કહેતા હોય તો એમાં લગીરે અતિશયોક્તિ નથી.

કમનસીબે ગુણાને છરી મારનારો હાથ ઇમરાનનો છે. ઇમરાન હીતેશ મુંધવા જેવા જમીનના દલાલોનો હાથો છે એની થોરાળાના દલિતોને ખબર છે, પરંતુ તાત્કાલિકપણે તો એમનો રોષ એક ગરીબ મુસલમાનનું ઘર સળગાવવામાં પરીણમ્યો. ગુણાની સ્મશાનયાત્રામાં જિલ્લાના દલિતો પણ આવેલા અને અગ્નિદાહ પછી સૌ એંસી ફુટના રોડ પર એકઠા થયેલા. "એમની પાસે પ્રાણઘાતક હથિયારો હતા અને વારંવાર સમજાવ્યા પછી પણ માન્યા નહીં અને ગેરકાયદેસર મંડળી રચીને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના ગંભીર પ્રયાસો કર્યા વગેરે વગેરે આક્ષેપો પોલીસે રાબેતા મુજબ એફઆઇઆરમાં કરીને 54 માણસોની ધરપકડ અને પાછળથી કરેલા દમનને ન્યાયોચિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ દલિત અત્યાચારનું એપીસેન્ટર બન્યું છે. દર વર્ષે ચૌદમી એપ્રિલે ગમે તે બહાનું કરીને દલિતોને ખોખરા કરવાની ચોક્કસ પેટર્ન રાજકોટ પોલીસે વિકસાવી છે. 2011માં બાબાસાહેબની પ્રતિમા મુસલમાનોએ તોડી હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. એમાં રાજકોટ બીજેપીના લઘુમતી સેલના પ્રમુખ, બુટલેગર કાદર સલોટે મુખ્ય ભાગ ભજવ્યો હોવાનું જાણવા મળેલું. "અમે કંઈ તમારા બાપનું પૂતળું તોડ્યું નથી," એવું બોલતા બોલતા માલવીયાનગર પોલીસ સ્ટેશનના "દરબાર" પોલીસોએ મહાત્મા ગાંધી છાત્રાલયના દલિત વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક ઝૂડ્યા હતા. એ દમનને અમે "મારા બાપનું પૂતળું" નામની દસ્તાવેજી ફિલ્મમાં કંડાર્યું છે. થોરાળા આ દમન-કડીનો જ એક મણકો છે.

થોરાળાની ઘટનાની કળ વળે તે પહેલાં ડબલ ગ્રેજ્યુએટ, સફાઈ કામદાર અશોક ચાવડાએ રાજકોટના સીટી ઇજનેર વિભાગના અધિકારીઓના "તથાકથિત" માનસિક ત્રાસથી છેક અમદાવાદની હોટલમાં આવીને ગળે ફાંસો ખાધાના સમાચાર આપણે વાંચ્યા. અશોક ચાવડાની સ્યુસાઇડ નોટ હોટલના રૂમમાંથી પોલીસને મળી છે. અશોકના આઘાતજનક આપઘાતના લગભગ આગલા જ દિવસે સ્કુલ બસ નીચે કચડાઇને મરેલી દલિત માળાના સમાચારથી શોકનું મોજુ ફરી વળેલું પણ જોયું. આ જ અરસામાં, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડલા ગામે દલિત સરપંચ પર જીવલેણ હૂમલો થયાના અહેવાલો મળ્યા છે. 2013ની આગામી વિધાનસભાની ચૂંટણી લોહીયાળ થશે એવા રાજકીય સમીક્ષકોના મંતવ્યો સાંભળું છું ત્યારે થાય છે કે દલિતોના પંડે તો રોજની આ મોંકાણ છે, અમારો સૂરજ રોજ લોહીયાળ લાલચટ્ટાક રંગનો ઉગે છે અને રાત્રે શોકની કાલીમા પથરાય છે.

(30 જૂન, 2012એ થોરાળાની મુલાકાતે ગયેલી તપાસ સમિતિમાં રફી મલેક, હોઝેફા ઉજ્જૈની, ભાનુબેન પરમાર, પ્રસાદ ચાકો, અશોક પરમાર, ડૉ. જયંતી માકડીયા, કીરીટ પરમાર, વૃંદા ત્રીવેદા અને રાજુ સોલંકી હતા. થોરાળાના પોલીસ દમનનો તસવીરો સાથેનો અહેવાલ dalitrightshindi.blogspot.in પર મુકવામાં આવ્યો છે)