કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 3 મે, 2013

સૂંઠના ગાંગડે ગાંધી થવાય, આંબેડકર નહીં



બોમ્બે લેજીસ્લેચર (મુંબઈ વિધાનસભા)ના ઇતિહાસમાં જ નહીં, બલ્કે ભારતની સંસદના અત્યાર સુધીના ઇતિહાસમાં ડૉ. ભીમરાવ આંબેડકર જેવો અભ્યાસુ, સર્વગ્રાહી વિદ્ધાન આજ સુધી પેદા થયો નથી. વિધાનસભામાં બજેટ, ફાયનાન્સ બીલ, પંચાયત બીલ, ઇન્ડ્રસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ બીલથી માંડીને વિવિધ વિષયો પર એ વખતે બાબાસાહેબે ઉચ્ચારેલા શબ્દો દલિતોના મહોલ્લાઓ અને ચાલીઓમાં જઇને કાન ફાડી નાંખે એટલા તીવ્ર અવાજે વાંચવા જેવા છે.

ગોકુળીયા ગામની વાતો પેટ ભરીને ખાવા માગતા છોકરાને ચોકલેટ આપીને પટાવવાની પોકળ પરીકથાઓ છે. આ હકીકત મુંબઇ વિધાનસભામાં બાબાસાહેબે કઈ રીતે રજૂ કરી એની એક ઝલક બતાવવા તેમના લખાણો અને ભાષણોના ગ્રંથ બેમાંથી એક ઉદ્ધરણ અત્રે રજૂ કરું છું. (અનુવાદ મૂળ અંગ્રેજીમાંથી મેં કર્યો છે.)

પંચાયતોમાં ડિસ્પ્રેડ ક્લાસીસ (દલિત વર્ગો)ના નોમીનેશન (નિયુક્તિ) અંગેની ચર્ચામાં બાબાસાહેબે કહ્યું હતું:

ડૉ. બી. આર. આંબેડકર: સર, ભારત યૂરોપ નથી, ઇંગ્લેન્ડ ભારત નથી, ઇંગ્લેન્ડ જાતિ પ્રથાને જાણતું નથી. આપણે જાણીએ છીએ. પરિણામે, (જાતિપ્રથા) ઇંગ્લેન્ડને માફક આવી શકે નહીં એ હકીકત આપણે સ્વીકારી લઇએ અને હું એક ડગલું આગળ જઇશ, સર, એવું કહીને કે, ભારતીય રાજનીતિના બીજા વિદ્યાર્થીઓ ગમે તે કહેતા હોય, ભારતીય બંધારણમાં કશુંક પણ સારું જો આવવાનું હોય તો તે કોમી પ્રતિનિધિત્વ (communal representation)ની સ્વીકૃતિથી આવવાનું છે, એ ભૂમિકાને હું વળગી રહું છું.

માનનીય સભ્યો: સાંભળો, સાંભળો!

ડૉ. બી. આર. આંબેડકર: હું જે કરી રહ્યો છું, એનાથી હું શરમાતો નથી. હું જાણું છુ અને હું કહી રહ્યો છું, કે ભારતીય બંધારણના સૌથી ઉત્તમ હિસ્સાઓ પૈકીનું એ એક હશે. મારૂ પ્રતિનિધિત્વ કરનારો કોઈ હોય તો પણ મારો પ્રતિનિધિ કોણ છે એ જાણ્યા વિના મતપેટી સમક્ષ જવાનો અધિકાર માત્ર મને મળે તેવું હું ઇચ્છતો નથી, આપણે ઇચ્છતા નથી. હું એક એવી વ્યવસ્થા ઇચ્છું છું, જેમાં મને માત્ર મતપેટી સુધી જવાનો જ અધિકાર ન હોય, બલ્કે મારા પોતાના વર્ગના લોકોનો સમૂહ ધરાવવાનો પણ અધિકાર હશે, જેઓ બધી બાબતોની માત્ર ચર્ચા કરવા નહીં પરન્તુ મુદ્દાઓમાં નિર્ણય લેવા ગૃહમાં બેઠા હશે. તેથી હું કહું છું કે કોમી પ્રતિનિધિત્વ એ કોઈ ઝેરી ચીજ નથી, એ કોઈ ઝેર નથી, આ દેશમાં વિવિધ વર્ગોની સલામતી અને સુરક્ષા માટે થઇ શકે તેવી ઉત્તમ ગોઠવણ છે હું તેને બંધારણનો ચહેરો બગાડનારું (disfiguring of the constitution) કહેતો નથી. હું તેને કહું છું .............

ડૉ. એમ. કે. દીક્ષીત: સુશોભન (decoration)

ડૉ.બી.આર.આંબેડકર: બંધારણનું સુશોભન. પછી, મારા માનનીય મિત્ર પૂછે છે, શું આપણે આ સિદ્ધાંત ન્યાયતંત્રમાં દાખલ કરવો જોઇએ? વારું, જો મારા માનનીય મિત્ર મને એવી ખાત્રી આપતા હોય કે હાલનું ન્યાયતંત્ર તેના કોમી પૂર્વગ્રહથી મુક્ત છે અને એક બ્રાહ્મણ ન્યાયમૂર્તિ જ્યારે બ્રાહ્મણ જાતિના વાદી અને બિન-બ્રાહ્મણ જાતિના પ્રતિવાદી વચ્ચેના મુદ્દાઓની પતાવટ કરવા બેસે છે ત્યારે માત્ર એક ન્યાયમૂર્તિ તરીકે નિર્ણય  લે છે, તો હું કદાચ તેમની ભૂમિકાની તરફેણ કરવાનું વિચારીશ. પરન્તુ હું જાણું છે કે આપણે કેવા પ્રકારનું ન્યાયતંત્ર ધરાવીએ છીએ. જો મારા માનનીય મિત્ર અને ગૃહ પાસે ધીરજ હોય, તો હું ઢગલાબંધ કથાઓનું વર્ણન કરી શકું છું કે જેમાં મારી જાણકારી મુજબ ન્યાયતંત્રે તેના સ્થાનનો દુરુપયોગ અને વૈશ્યાગીરી આચરી હોય (that the judiciary has abused and prostituted its position).

આ તબક્કે રાવ બહાદુર આર. આર. કાલે નામના સભ્ય ઉભા થઇને બાબાસાહેબની ટિપ્પણીનો વિરોધ કરે છે. તેઓ ભારતના ન્યાયતંત્રને આખી દુનિયાનું શ્રેષ્ઠ ન્યાયતંત્ર ગણાવે છે. એ પળની ચર્ચા ભયંકર રીતે રસપ્રદ છે.

રાવ બહાદુર આર. આર. કાલે: ..... પ્રીવી કાઉન્સિલ નામની આ ભૂમિની સૌથી ઉંચી ટ્રિબ્યુલે સમયે સમયે તેના ચુકાદાઓમાં ઠરાવ્યુ છે કે ભારતીય ન્યાયતંત્ર સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ ન્યાયતંત્ર છે.

એક માનનીય સભ્ય: આખી દુનિયામાં?

રાવ બહાદુર આર. આર. કાલે: હા, આખી દુનિયામાં. મારો મુદ્દો એ છે કે ન્યાયતંત્ર કોમી ગણતરીઓની અસર હેઠળ છે એમ કહેવું એ ગંભીર આક્ષેપ (serious slander) છે. મને ભારોભાર દુ:ખ થયું, જ્યારે મેં મારા પ્રકારનું ન્યાયતંત્ર આપણે ધરાવીએ છીએ. તેઓ (ન્યાયમૂર્તિઓ) કેસોનો નિકાલ કરતી વખતે કોમી ગણતરીઓથી ચાલે છે.

મૌલવી સર રફીયુદ્દીન: કોણ એવું બોલ્યું?

રાવ બહાદુર આર. આર. કાલે: માનનીય સભ્ય ડૉ. આંબેડકર.

મૌલવી સર રફીયુદ્દીન: તમારા બનેવી અને એક હિન્દુ (your brother-in-law and a Hindu)

રાવ બહાદુર આર. આર. કાલે: 'બનેવી' શબ્દ દ્વારા તમે શું કહેવા માગો છો? તેઓ મારા પિતા કે  પુત્ર હોઇ શકે.....

ત્યાર બાદ વ્યથિત થયેલા કાલે સાહેબે શું કહ્યું એમાં હું ઊંડો ઉતરતો નથી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે ન્યાયતંત્ર માટેના આ શબ્દો એ માણસે ઉચ્ચાર્યા હતા, જેમણે પાછળથી આ મહાન દેશનું એટલું જ મહાન બંધારણ ઘડ્યું હતું. (ક્રમશ:)

રાજુ સોલંકી

(સમાજમિત્ર, જાન્યુઆરી 2004)

નોંધ- સમાજમિત્રમાં ચારેક હપ્તામાં છપાયેલી શ્રેણીનો બીજો લેખ.