કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 25 માર્ચ, 2014

કાન્તિએ ચગાવ્યો કલ્પનાનો પતંગ



અમેરિકામાં ટોચનો એક ટકા વર્ગ એટલો ધનાઢ્ય છે કે સમગ્ર દુનિયાને દસવાર ખરીદી શકે તેટલી સંપત્તિ તેમની પાસે છે. આ વર્ગ કેવી રીતે જીવે છે એની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. એક દ્રષ્ટાંત રજુ કરું છું. દિકરીની જન્મતારીખ નજીક આવે છે. બાપ તેને કહે છે, બેટા તને આ વખતે કઈ બર્થ ડે ગિફ્ટ આપું. દિકરી કહે છે, પાપા, મારે આ વખતે ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઉડવું છે. બાપે દિકરીને ચાર્ટર્ડ પ્લેન ખરીદીને આપેલું છે. દિકરી તેના ખાનગી પ્લેનમાં ફરી ફરીને કંટાળી ગઈ છે. હવે તેને અમેરિકાના આમ આદમીઓ સાથે પ્લેનમાં બેસવાની ઇચ્છા છે. હવે આ અમેરિકાના દિવાસ્વપ્ન લઇને જીવતા લોકો ભારતને ક્યાં લઈ જશે, જ્યાં વીસ કરોડ લોકો હજુ ભૂખે મરે છે
આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે આજે દિવ્ય ભાસ્કરમાં કાન્તિ ભટ્ટ ન્યૂયોર્ક ટાઇમ્સને ક્વોટ કરીને લખે છે, જો મોદી ઉત્તર પ્રદેશમાંથી સારા પ્રમાણમાં બેઠકો લાવશે તો તે ચીનને પાછળ રાખીને વડાપ્રધાન તરીકે ભારતને નંબર વન આર્થિક સત્તા બનાવશે. અને પછી ન્યૂયોર્ક ટાઇમ્સનું થુંકેલું ચાટીને ગુજરાતના મહાન પત્રકાર કાન્તિલાલ કહે છે, એટલે જ મોદીએ ઉત્તરપ્રદેશની આઠ વખત મુલાકાત લીધી છે. અમેરિકન દ્રષ્ટિએ (અને મોદી જાણે છે) જો વડાપ્રધાન બને તો તેને ઉ.પ્ર. દેશમાંથી એક નવું અમેરિકા મળશે.
વાહ ભાઈ વાહ. કાન્તિએ કલ્પનાનો કેવો પતંગ ચગાવ્યો છે, છેક મિશિગન, ટેક્સાસ અને ઓહીયો સુધી ........

શનિવાર, 8 માર્ચ, 2014

મૈં વાપસ આઉંગા, લાખોં કી તાદાદ મેં, કરોડોં કી તાદાદ મેં


 તીસરી આઝાદી માટેની લડાઈનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે દલિતો-વંચિતો માટે બલિદાનો આપનારા બિન-દલિતોની યાદીમાં સૌથી મોખરે કર્દમ ભટ્ટનું નામ હશે. કર્દમ ભટ્ટ કોણ હતા? ત્રીસ વર્ષોના સંસ્મરણોને વાગોળું છું તો એવું લાગે છે કે તેઓ એક ઓલીયા જેવા હતા, જેના થેલામાં માર્કસ-એંગલ્સનું જાહેરનામુ અને લેનીનની એપ્રિલ થીસીસ, માઓની લાલ કિતાબ અને લૂ શૂનની કથાઓ, ચેખોવની વાર્તાઓ અને બ્રેખ્તના નાટકો, મૂક્તિજંગ અને માસલાઇન જેવા સામયિકો હતા. છ ફૂટની ઉંચાઈ, લઘરવઘર કપડાં, પગે સ્લીપર, ચહેરા પર શાશ્વત અજંપો અને વ્યવસ્થા સામેનો આક્રોશ. તેમને કોઇપણ વ્યક્તિ મળે પછી ભલે તેમના વિચારો સાથે સંમત ના થાય, પરંતુ તેમના માટે આદરની એક લાગણી સૌના મનમાં અચૂક જન્મે.

બીજી ફેબ્રુઆરીએ કર્દમ ભટ્ટનું અવસાન થયું હતું. એમના અવસાન નિમિત્તે યોજાનારી શોકસભાના ગાંધીનગર-સ્થિત એક અગ્રણી દલિત સાહિત્યકારને આપ્યા ત્યારે તેમણે કહેલું, અહીં ઘણા પૂછે છે કે કર્દમ ભટ્ટ કોણ?” કેવી વિડંબના છે કે ક્રાન્તિની કવિતાઓ કરનારા દલિત કવિઓ રમણ વોરાને ઓળખે છે, પરંતુ કર્દમ ભટ્ટને નથી ઓળખતા. એક અન્ય દલિત મિત્રને શોકસભાનો એસએમએસ કર્યો ત્યારે એમણે કહ્યું કે, તેઓ ભટ્ટ શબ્દને કાઢીને મિત્રોને મેસેજ મોકલશે, કેમ કે દલિત મિત્રોને ભટ્ટ શબ્દથી નારાજગી હોઈ શકે. મેં કહ્યું, બહેનજી બ્રાહ્મણો સાથે બેસે એનો તમને વાંધો નથી. અહીં કર્દમ પાછળ ભટ્ટ શબ્દ છે એનો કેમ વાંધો છે.
 
આજે પંદર મિત્રો ક્યાંક નાનકડું ગતકડું કરે છે અને ફેસબુક પર મિત્રોને શેર કરીને ચળવળ ચલાવ્યાનો આનંદ મેળવે છે. ત્યારે આપને એ જાણીને આશ્ચર્ય થશે કે દલિતો-શોષિતોના સેંકડો આંદોલનોમાં કર્દમ ભટ્ટે મોખરાનો ભાગ ભજવ્યો હતો; ચાલીએ ચાલીએ ફરીને લોકોને જગાડ્યા હતા, યે ગાંવ હમારા યે ગલી હમારી, હીલે રે ઝકઝોર દુનિયા, જાણ છે તને કેમ લડ્યા તા માત્મા ગાંધી, રાત થોડી ને વેશ છે ઝાઝા જેવા ગીતો ગાઇને પ્રેરણા આપી હતી; ફેફસા ફાટી જાય ત્યાં સુધી કલોલ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદની અનામત-તરફી રેલીઓમાં હલ્લા બોલાવ્યા હતા; જાતિ નિર્મૂલન સમિતિના શેરીનાટક બામણવાદની બારાખડીના સોથી વધારે પરફોર્મન્સીસમાં ભાગ લીધો હતો; અમારી સાથે વારંવાર ધરપકડો વહોરી હતી અને છતાં કેટલાક અપવાદ બાદ કરતા તેમની સ્મૃતિઓ કચકડે ઝીલાઈ નથી.

મોટાભાગના દલિતો માટે એમનું કાસ્ટ સર્ટિફિકેટ નોકરીઓ, પ્રમોશનો અને સુખસુવિધાઓ અંકે કરવાના પરવાનાથી વિશેષ કશું જ નથી. 1981થી 1990ના ગાળામાં અનામત-તરફી રેલીઓમાં મીલ મજુરો અને બેકાર દલિત યુવાઓએ ભાગ લીધો હતો, જેમને અનામત સાથે નહાવા નીચોવાનો પણ સંબંધ નહોતો. કર્દમ ભટ્ટ બ્રાહ્મણ હોવા છતાં અનામત-તરફી પ્રતિકાર રેલીઓમાં દલિત કરતા પણ સવાયા દલિત બનીને પ્રગટતા હતા. 1981થી ગુજરાતમાં અનામત-વિરોધીઓનો ઉત્પાત શરૂ થયો હતો. આજે હું પણ પીછડી જાતિનો એમ કહીને આખા દેશમાં મતોની ભીખ માંગનારા ફેંકુનો પક્ષ ત્યારે અનામતનું નિકંદન કાઢવા પડદા પાછળ ઘાતકી ષડયંત્રો રચતો હતો અને કરોડોના ફોરીન ફંડને મેનેજ કરનારી એનજીઓના પ્રોજેક્ટોનો પેઇડ યુગ જ્યારે શરૂ થયો નહોતો, તેવા સમયે અનામતની તરફેણમાં નોકરીધંધાની પરવા કર્યા વિના મેદાનમાં ઝંપલાવનારા મુઠ્ઠીભર મરજીવાઓથી આંદોલનો ચાલતા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના ગો. ત્રિ. હોલમાં કર્દમને શ્રદ્ધાંજલી આપવા આવેલા ડો. નીતિન ગુર્જરે તેથી જ કહેલું કે, ત્યારે કર્દમ-શંકર-સાહિલની ઝુઝારૂ કવિતાઓ સાંભળવા અમે નોકરી મૂકીને દોડી આવતા હતા.

1986માં અનામત-વિરોધીઓએ સમગ્ર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષધની પ્રેરણાથી ત્યારે અનામતના વિરોધમાં મંદિરોને પણ તાળા વાગી ગયા હતા. જાતિ નિર્મૂલનના કાર્યકરોએ ગુજરાત બંધનો વિરોધ કર્યો હતો અને પોલિસે તેમને પકડીને ગાયકવાડની હવેલીમાં પૂરી દીધા હતા. તે વખતે કર્દમ ભટ્ટ અમારી સાથે હતા. ગાયકવાડની હવેલીમાં બ્રિટિશ રાજ ચાલે છે, શીર્ષકથી ચાર કોલમનું બોક્સ છાપીને જનસત્તાના તત્કાલીન નિવાસી તંત્રી પ્રકાશ શાહે અમારા અકિંચનોના આંદોલનની ત્યારે નોંધ લીધી હતી. 

નિરીક્ષકમાં તાજેતરમાં છપાયેલા લેખમાં સાથી પ્રવિણ પંડ્યાએ યોગ્ય કહ્યું કે કર્દમ ડાબેરી વિચારધારા અને દલિત આંદોલનની ઓળખસમો હતો ...... છે ...... અને રહેશે. માર્ક્સ અને આંબેડકરની કલાકો સુધી ચર્ચા કરનારા વિદ્વાનોનો આપણે ત્યાં તોટો નથી. માર્ક્સને ભાંડનારા આંબેડકરવાદીઓ અને આંબેડકરને ઉવેખનારા દલિત સામ્યવાદીઓની એક પેઢી જન્મીને મરી પણ ગઈ. પરંતુ માર્ક્સની આર્થિક સમાનતા અને આંબેડકરની સામાજિક ક્રાન્તિના સિદ્ધાંતોને એક્શનમાં ઉતારીને ન્યોછાવરી કરનારા કર્દમ ભટ્ટ તો જવલ્લે જ સાંપડે. કર્દમ ગયા એ જ અરસામાં રતિલાલ દવે (આર. ડી. દવે)એ પણ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. રાયખડના જવાહર ચોકમાં કૃષ્ણની મૂર્તિ કચરા પેટીમાં પધરાવનારા આર. ડી.ના ક્રાન્તિકારી મૂમકિન મેગેઝીનને મજુરો-દલિતોમાં લઈ જનારા કર્દમ ભટ્ટ અને અશ્વિન દેસાઈ હતા. કામદાર આંદોલનો સાથેનો એમનો ગાઢ નાતો હતો, જેને ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીના સાયન્ટિસ્ટ અને યુનિયનિસ્ટ ડો. વેલુએ સંભાર્યો હતો. 

ભાવનગરના વતની, વિજ્ઞાનના સ્નાતક કર્દમ ભટ્ટે પ્રતિબદ્ધતાના રંગે રંગાઈને શોષિતોની ચળવળોમાં ઝંપલાવ્યું ના હોત અને વ્યવસાયિક રંગભૂમિમાં કામ કર્યું હોત તો ગુજરાતી રંગભૂમિ ઉજળી થઈ હોત. એમનામાં રહેલો કલાકાર પાયાના આંદોલનોમાં પ્રચંડ વેગે પ્રગટ્યો હતો. શોકસભામાં મનીષી જાનીએ કર્દમને યાદ કરતા કહેલું કે, જય ગુરુદેવ સામે થયેલા અભિયાનમાં જ્યારે નાટક કરવાનું થયુ ત્યારે કર્દમે ચોથા વાંદરોનો વેશ ભજવ્યો હતો. જાતિ નિર્મૂલન સમિતિના શેરી નાટકમાં એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, કહેતાં, થેકડા મારતા કર્દમ ભટ્ટને જેણે જોયા છે તેઓ એ બ્રાહ્મણને વિસરી નથી શકતા જે પોતે બ્રાહ્મણ હોવા છતાં રૂઢિદાસ્યનો ભોગ બનેલા બ્રાહ્મણની ઠેકડી ઉડાડવામાં પાછી પાની કરતો ન હતો. જેવું નાટકનું એવું જ સાહિત્યનું અગાધ જ્ઞાન કર્દમને હતું. ગુજરાતી સાહિત્યમાં ભૂમિહીનોના જમીનનો સવાલ કેટલો પ્રતિબિંબિત થયો છે તેનું પણ સંશોધન થવું જોઇએ, એવું કહેનારા કર્દમને સરૂપ ધ્રુવે શોકસભામાં અમસ્તાં યાદ કર્યા ન હતા. 

દલિતોની એક સમગ્ર પેઢીને કર્દમ ભટ્ટે હલ્લા બોલ બોલતી કરી દીધી હતી. જે સમયે ફકીર વાઘેલાઓ દલિતોને એક તદ્દન વાહિયાત રાજકીય પક્ષમાં પ્રલોભનો આપીને ખેંચી રહ્યા હતા, ત્યારે કર્દમ ભટ્ટ જેવા લોકો આવનારી લડાઈઓ માટે દલિતોમાં ક્રાન્તિકારી ચિનગારી પ્રગટાવવાની મથામણ કરી રહ્યા હતા. ક્યારેક ક્રાન્તિકારી થવાની ધખના સેવનારા દલિત કવિઓ આજે સમાજ કલ્યાણ ખાતાના એવોર્ડો ગળામાં ભરાવીને બે બદામના ભવૈયા બની ગયા છે ત્યારે કર્દમ ભટ્ટનું આમ અચાનક જવું વસમુ લાગે છે, છતાં કર્દમભાઈના માનીતા વીર નાયક સ્પાર્ટેકસની જેમ આપણે ચોક્કસ કહીશું, મૈં વાપસ આઉંગા, લાખોં કી તાદાદ મેં કરોડોં કી તાદાદ મેં.





શનિવાર, 1 માર્ચ, 2014

નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?


દિવ્ય ભાસ્કરમાં નગીનદાસ સંઘવી ભારતમાં મહિલાઓ પર થતા દુષ્કર્મોની વાત માંડતા એ બાબતે દુખ વ્યક્ત કરે છે કે નેતાઓની સલામતી પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. પછી આંધળા નગીનદાસને સમગ્ર દેશમાં એક જ નેતા દેખાય છે. માયાવતી. અને ગાંડો ગાંધીવાદી કહે છે કે માયાવતી જેવા નેતાઓની સુરક્ષા પાછળ શા માટે આટલો ખર્ચો થવો જોઇએ. અને કહે છે કે આ માયાવતી જેવા નેતાઓ મરી જાય તો દેશને શું નુકસાન થવાનું છે. 

અમે માયાવતીના ભક્ત નથી. મુદ્દો અહીં એટલો જ છે કે આજે દેશમાં સૌથી વધારે ખર્ચ અને એ પણ ભયાનક ખર્ચ કોઇની પણ સુરક્ષા પાછળ થતો હોય તો તે છે ગુજરાતનો ફેંકુ. જેણે દંગા રોકવાના બદલે દંગાઈઓએ પ્રોત્સાહન આપ્યું અને પરિણામે આજે એ જ્યાં જાય છે ત્યાં પ્રજાનો પરસેવાનો પૈસો તેની સુરક્ષામાં વપરાય છે. નગીનદાસે મોદીનો દાખલો આપવાને બદલે માયાવતીનો આપ્યો એ તેમનું જાતિવાદી માનસ સૂચવે છે. નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?