કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 24 ડિસેમ્બર, 2014

ઇલેક્ટ્રિક શૉક



2019નો કોઈ દિવસ.
સ્થળ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગનો ઓપીડી
દર્દી: સાહેબ, મને રાત્રે ઉંઘ નથી આવતી. કશું ગમતું નથી. ખાવાની ઇચ્છા થતી નથી. જીવવાની પણ ઇચ્છા થતી નથી.
સાહેબે એમના જૂનીયર ડોક્ટરને ઇશારાથી કબાટ બતાવ્યું. જુનીયર કબાટમાંથી ગીતાની ગોરખપુર પ્રેસમાં મુદ્રીત થયેલી ચોપડી લાવ્યો.
સાહેબ (ચોપડી દર્દીને બતાવતા): જુઓ, રોજ સવારે ઉઠીને આ ચોપડીના શ્લોકો વાંચજો. તમારું ડીપ્રેશન દૂર થઈ જશે.
દર્દી (સહેજ ખચકાતા): પણ, સાહેબ કોઈ ગોળી લેવાની જરૂર નથી?
સાહેબ: ના. સરકારે પરિપત્ર બહાર પાડી દીધો છે. હવે તમામ મનોરોગીઓને ગીતા વાંચવા માટે આપવાની છે.
દર્દી: સાહેબ, હું ખ્રિસ્તી છું. મને વાંચવા માટે બાઇબલ આપો તો ઠીક ના કહેવાય?
સાહેબ: ના. બાઇબલ વાંચનારા લોકોએ તો વિશ્વયુદ્ધો કર્યા છે. ગીતા વાંચનારા લોકો જ સારા અને સજ્જન કહેવાય.
દર્દી: ગીતામાં તો કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે એના જ સગાઓને મારી નાંખવાની. શું મહાભારત વિશ્વયુદ્ધ નહોતું?
સાહેબ (જુનીયર તરફ જોઇને): ઇલેક્ટ્રિક શૉકની તૈયારી કરો. આ દર્દીને શૉક આપવા પડશે.

સોમવાર, 22 ડિસેમ્બર, 2014

હાડકું




ચાર રસ્તા વચ્ચે એક હાડકું પડ્યું છે. ચાર કૂતરા હાડકું ચુસવા એકબીજા સાથે ઝગડી રહ્યા છે. એમાં એક કૂતરો સૌથી કદાવર છે. એ ભસતાં ભસતાં કહે છે, “આ હાડકું મારું છે. બે હજાર વર્ષથી હું એને ચુસું છું. એના પર મારો જ અધિકાર છે. તમે પરદેશી કૂતરા છો. તમે લાગ જોઇને આ હાડકું પડાવી લીધું છે. પરંતુ, હવે હું તમને ચૂસવા નહીં દઉં.  હાડકાને મારા ઘરમાં લઇ જઇને જ હું જંપીશ”

શનિવાર, 8 નવેમ્બર, 2014

એ તાકાત, એ ઉર્જા હર સમયના હર આંદોલનકારીઓને મળો


આદિવાસી વિસ્થાપિતોના સમર્થનમાં મળેલા દલિત સંમેલનમાં ઠરાવ વાંચતા નયન શાહ


પહેલાં અશ્વિન દેસાઈ (1996), પછી કર્દમ ભટ્ટ (2014) અને ગઈ કાલે નયન શાહના નિધન સાથે ગુજરાતની પ્રગતિશીલ ડાબેરી ચળવળની પાંખી સરવાણી ઓર ક્ષીણ બની. ગુજરાતના સટ્ટાબાજ, ગણતરીબાજ, સ્વાર્થી મઘ્યમવર્ગમાં આવા વિરલાઓ પેદા થયા હતા એ આવતીકાલે કોણ માનશે?

અશ્વિન દેસાઈ કાયદાના સ્નાતક હતા. ધાર્યું હોત તો ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરીને લાખો રળી શક્યા હોત. કર્દમ ભટ્ટ વિજ્ઞાનના સ્નાતક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રૂપિયા કમાવવા એ એમના માટે ડાબા હાથનો ખેલ હતો. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક નયન શાહે 1985માં ગાંધીનગરમાં જુના સચિવાલય પાસેના ખુલ્લા મેદાનમાં ચાની કીટલી શરૂ કરી હતી. વચ્ચે થોડો સમય રિક્ષાઓ પણ ચલાવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને ગેઝેટેડ અધિકારી થયા હોત તો પાંચ કરોડના આસામી થયા હોત અને ફુલાવેલા ગાલે “ગુજરાતમાં પ્રગતિશીલ આંદોલનોનું નખ્ખોદ કેમ વળી ગયું” એવા કોઈ વિષય પર યોજાતા સેમિનારમાં કલાકો સુધી ચર્ચા કરી શક્યા હોત.

પરંતુ, આ જીવડાઓ ભારે અજંપ હતા. કલાકો સુધી મૈસુર કાફેમાં ક્રાન્તિની રણનીતિઓ ઘડતા હતા. રાત્રે દિવાલો પર પોસ્ટરો ચીપકાવતા હતા. ક્યારેક નરોડા પોટરી કામદારો વચ્ચે જઇને બેસતાં તો ક્યારેક લાલ વાવટાની રેલીઓ સફળ બનાવવા હડીયો કાઢતાં. એમના સમયનું અમદાવાદ જુદું હતું. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં હજાર માણસ ખાસ બજાર પાસેના મેદાનમાં મીણબત્તીઓ લઇને આવી જતું, યુનિયન કાર્બિઇડના ઝેરી ગેસથી રીબાઈ રીબાઈને દમ તોડનારા ભારતવાસીઓની યાદમાં જુલુસ કાઢતું. કોઇના મોઢેથી ભારતમાતા કી જયના ચિત્કારો નીકળતા નહોતા અને છતાં સહું પાક્કા દેશભક્ત હતા. એ અમદાવાદ અનોખું હતું.    

એ અમદાવાદ પર આજે સમયની રાખ ફરી વળી છે. દોસ્ત નયનના અકાળ અવસાનથી એ રાખ પર સૂતેલી સ્મૃતિઓ આજે ફરી તાજી થઈ ગઈ છે. રાતના અંધારામાં અશ્વિન દેસાઈની એ તગતગતી આંખો દેખાય છે અને એનો ધીમો પણ મક્કમ સૂર સંભળાય છે. જાણે આજે પણ કહી રહ્યો છે, “આધા આકાશ નારી હૈ, શેષ પુરુષ સંસાર” સામા પૂરે તરવાની એમની ઘેલછા યાદ આવે છે. નવી દુનિયા રચવા માટે ખપી જવાની એમની ઝિંદાદિલી યાદ આવે છે. એમના પવિત્ર સ્મરણોથી આજે પણ મારી વેરાન રાતોનો ખાલીપો ભરાઈ જાય છે. એમના હોવાનો એક અહેસાસ સતત મારી સાથે છે. ભગતસિંહના નાટકને જોઇને લાલ દરવાજા ટર્મિનસની ફુટપાથ પર છાપા પાથરીને બેઠા પછી પરોઢનું મોંસૂઝણું થયું ત્યાં સુધી સહું બેઠા છે. કોઇને ઘરે જવાની ઇચ્છા થતી નથી. એ રાત પૂરી ના થાય અને અમે ગાતા રહીએ કે “વહ સુબહા કભી તો આયેગી....”

1994માં નયન સાથે સરદાર સરોવરના ડૂબમાં જઈ રહેલા ગામો પર ગયો, મણીબેલીની મુલાકાત લીધી. પછી અમદાવાદમાં આદિવાસી વિસ્થાપિતોના સમર્થનમાં દલિત સંમેલન મળ્યું. અમે મુઠ્ઠીભર હતા અને સામે કોંગ્રેસ-ભાજપનું દળકટક હતું. હોકીઓ લઇને પોલિસ હોલમાં બેઠી હતી, તૂટી પડવા માટે તૈયાર. પણ અમને કોઇનો ભો નહોતો. સહુ જાણે એકબીજામાંથી એવી અસીમ ઉર્જા પ્રાપ્ત કરતા કે એક રક્ષાકવચ રચાઈ જતું હતું. એ તાકાત, એ ઉર્જા હર સમયના હર આંદોલનકારીઓને મળો. કર્દમ, અશ્વિન, નયન – તમારો વંશવેલો અમરવેલની જેમ વધો. તમારી લોહીઝાણ પ્રતિબદ્ધતા દરેક શોષિતના સીનામાં અમરવેલની જેમ ઉગો. તમારા બલિદાનો કદી એળે ના જાય. નવલી દુનિયાના તમારા સપનાં સાકાર થાય. આમીન.


2 ઓક્ટોબર 2014. અમદાવાદ

શનિવાર, 3 મે, 2014

બાબાસાહેબના જીવનચરિત્રમાં મોદીની કવિતા



કાલે ઘરે પહોંચ્યો ત્યારે એક કવરમાં પુસ્તક આવેલું જોયું. નામ એનું "રાષ્ટ્રનિર્માણના શિલ્પી ડો. બાબાસાહેબ આંબેડકર." લેખક નાથુ સોસા. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર. પુસ્તક સાથે નાથુભાઈનો કવરિંગ લેટર પણ હતો. તેમાં તેમણે લખેલું કે પુસ્તકનું વિમોચન 13 એપ્રિલે શંભુપ્રસાદ મહારાજે કર્યું હતું. પુસ્તક તો જોતાની સાથે ગમી જાય તેવું છે, પરંતુ બાબાસાહેબના જીવનચરિત્રમાં "કવિ શ્રી નરેન્દ્રભાઈ મોદી"ની કવિતાઓની પંકિતઓ જોઇને આશ્ચર્ય અને આઘાતની લાગણી જન્મી. મોદી કવિ છે એની અત્યાર સુધી કોને ખબર હતી? કવિહ્રદયનો માણસ એની નજર સામે હજારો માણસોની કત્લેઆમ જોઇ શકે ખરો? સ્ત્રીઓ પર બળાત્કારો ચલાવી શકે ખરો?

મોદીના રાજમાં 2001થી 2010ના સમયમાં 313 દલિત મહિલાઓ પર બળાત્કારો થયા. મોદીએ કેવી ચોકીદારી કરી? દલિતોને મુરખ બનાવવા બે-ચાર કિરીટભાઈઓ, કિશોરભાઈઓ, રમણભાઈઓને શો કેઇશના વાંદરા બનાવીને બેસાડી દીધા. દલિતો ગામડાઓમાં રહેંસાતા રહ્યા, દલિત સ્ત્રીઓ ચીસો પાડતી રહી અને મોદી એમના ચમચા અમિત શાહને કોઈ યુવતીની પાછળ દોડાવતા રહ્યા. મોદીના પુજારી (હ)રામદેવ દલિતો અંગે ગંદામાં ગંદી વાત કહે એમાં મોદીની સંમતિ નહીં હોય? દેશમાં કોક ખૂણે પાડો પાદતો હોય તો પણ ટ્વિટર પર કમેન્ટ કરતા મોદીએ રામલા અંગે કેમ કશું કહ્યું નહીં?

બાબાસાહેબના પવિત્ર અને અમૂલ્ય ગ્રંથમાં મોદીની કવિતાઓ કારણ વગર મૂકીને નાથુભાઈએ ભાજપના ભવૈયાઓની શાબાશી મેળવી લીધી હશે, પરંતુ દલિત સમાજની શાબાશી તેમને નહીં જ મળે. પુસ્તકમાં તેઓ પોતે કહે છે તેમ, "અસ્પૃશ્ય સમાજના હિતની વાત કરનાર દલિત રાજકીય આગેવાનો અને અદલિત સમાજના હિતની વાત કરનારા સમાજના રાજકીય આગેવાનો વચ્ચે જ્યારે પસંદગીની વાત આવશે ત્યારે અદલિત સમાજ હંમેશાં એવા દલિત આગેવાનની પસંદગી કરશે જે અદલિત સમાજ કહે તેમ વર્તે અથવા અદલિત સમાજ કહે તેમ કામ કરે" આ વાત તેઓ પોતે સાચી ઠેરવી રહ્યા છે. નાથુભાઈ પોતે કહે છે શું અને કરે છે શું. આવા બેવડા ધોરણો ક્યાં સુધી?