કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 16 માર્ચ, 2012

માયાવતી પરના કાર્ટુન અંગે સંદેશના તંત્રી સામે કેસ


23મી માર્ચ, 2012એ સંદેશના તંત્રી ફાલ્ગુન ચીમન પટેલ અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં. 25માં જામીન આપવા હાજર થશે. ફાલ્ગુન સામે માયાવતીની બદનક્ષી કરતા કાર્ટુનને પ્રસિદ્ધ કરવા બદલ ચૌદ વર્ષ પહેલા 29 જુલાઈ, 1996માં કેસ દાખલ થયો હતો. સદર કાર્ટુન દોરનારો ચકોર મરી ગયો છે, પરંતુ ફાલ્ગુન સામેની કાનૂની લડાઈ ચાલુ છે. 2005માં અરજદાર વાલજીભાઈ પટેલની ફેરતપાસ માટેની અરજીને બહાલ કરતો સેશન્સ જજનો ચુકાદો તેમજ સદર વિવાદાસ્પદ કાર્ટુન અત્રે રજુ કર્યા છે.



અમદાવાદ શહેર ખાતે અધિક સેશન્સ જજની અદાલતમાં
2003ની ફોજદારી ફેરતપાસ અરજી નં. 234

અરજદારઃ          વાલજીભાઈ હિરાલાલ પટેલ, ઉંમર 65 વર્ષ, ધર્મ હિન્દુ, વ્યવસાય નિવૃત્ત, રહેવાસી ડો. આંબેડકર સ્ટ્રીટ, ફુટી મસ્જિદ પાસે, દરિયાપુર, અમદાવાદ

વિરુદ્ધ

પ્રતિવાદીઓઃ      (1) ફાલ્ગુન ચીમનભાઈ પટેલ, તંત્રી, સંદેશ દૈનિક વર્તમાનપત્ર, રેંટિયાવાડી, પિત્તળીયા બંબા, અમદાવાદ – 380 001

                    (2) ગુજરાત સરકાર 

અરજદાર વતી, વિદ્વાન એડવોકેટ શ્રી એચ. આર. સોલંકી
પ્રતિવાદી – 1 વતી વિદ્વાન એડવોકેટ શ્રી પી. એન. પટેલ
પ્રતિવાદી રાજય સરકાર વતી વિદ્વાન એપીપી શ્રી એમ. સી. વાઘેલા

ચુકાદો

(1) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3 (1) (10) હેઠળ શિક્ષાપાત્ર ગુનો થયો હોવાનો આરોપ મુકતી હાલના અરજદારે દાખલ કરેલી ફરિયાદને લીધે ઉદભવતી કાર્યવાહીમાં 'સી' સમરી લાગુ પાડવાના નામદાર મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ, કોર્ટ નં. 18એ તા. 7-8-2003એ આપેલા આદેશને લીધે ફેરતપાસની માગણી કરવામાં આવી છે.

(2) અત્રે ઉપસ્થિત થતા પ્રશ્નોની બહેતર સમજ મેળવવાના હેતુસર કેટલીક સંક્ષિપ્ત હકીકતોનું વર્ણન કરવું જરુરી છે અને તે નીચે પ્રમાણે છેઃ

એવું જણાય છે કે પ્રતિવાદી નં. 1 દૈનિક સંદેશના વ્યવસ્થાપક તંત્રી અને પ્રકાશક છે અને એવું જણાય છે કે ઉક્ત વર્તમાનપત્રમાં તા. 29-7-1996ના રોજ એક વાંધાજનક કાર્ટુન પ્રસિદ્ધ થયું હતું. જેનો આશય, અરજદારના જણાવ્યા પ્રમાણે, અપમાનજનક અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકોની લાગણીઓને હાનિકર્તા થાય તે રીતે દુભવવાનો હતો, કેમ કે આ કાર્ટુન ઉત્તરપ્રદેશના અગાઉના મુખ્યપ્રધાન માયાવતીને હીન રીતે ચીતરે છે અને દર્શાવે છે અને અનુસૂચિત જાતિના સદરહૂ માયાવતીને ઉત્તરપ્રદેશના હાલના મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ અપશબ્દ બોલતા દર્શાવ્યા છે. રજુઆત છે કે કાર્ટુનનો આશય  અનુસૂચિત જાતિઓના લોકોની લાગણી દુભવવાનો હતો અને તેથી અરજદાર દ્વારા ખાનગી ફરિયાદ કરવામાં આવી છે. રજુઆત છે કે સંબધિત વિદ્વાન મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી શિક્ષાત્મક સંહિતાની કલમ 156 (3) હેઠળ હુકમ કરવામાં આવ્યો હતો અને શાહપુર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા વરિષ્ઠ પોલિસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને રજુઆત છે કે, આવી રીતે થયેલી તપાસને પરીણામે સર્જાતા સંજોગોમાં, કોઈ ગુનો થયાનું જણાતું નથી તે મુજબના તપાસ અધિકારીએ રજુ કરેલા અહેવાલને વિદ્વાન મેજીસ્ટ્રેટે ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે સ્વીકાર્યો હતો અને રજુઆત છે કે સી સમરીની સ્વીકૃતિ વિદ્વાન મેજીસ્ટ્રેટના પક્ષે સ્પષ્ટ ભ્રાન્તિ છે.

(3) અરજદાર વતી વિદ્વાન એડવોકેટ શ્રી સોલંકીએ રજુઆત કરી છે કે, વિવાદીત હુકમ સ્પષ્ટપણે ગેરકાનૂની છે અને તેને રદ કરવો જરુરી છે. રજુઆત છે કે, વિવાદીત ચુકાદાને ન્યાયોચિત ઠેરવે તેવા કોઈ કારણો વિદ્વાન મેજીસ્ટ્રેટ પૂરા પાડ્યા નથી. રજુઆત છે કે, વિદ્વાન મેજીસ્ટ્રેટે વિવાદીત ચુકાદાના પાના નં. 9 પર ટાંકવામાં આવેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું દેખીતી રીતે ખોટું અર્થઘટન કર્યું છે. રજુઆત છે કે, કાર્ટુન પોતે લાગણી દુભવનારું છે, કેમ કે તે સાલે ચમાર શબ્દો અપમાનજનક રીતે વાપરવાનો સ્પષ્ટ ઉદ્દેશ ધરાવે છે. રજુઆત છે કે, પોતાના દૈનિકમાં આવું કાર્ટુન પ્રસિદ્ધ કરીને પ્રતિવાદી નં. 1 દ્વારા પ્રથમદર્શી નજરે સ્પષ્ટ ગુનો આચરવામાં આવ્યો છે અને રજુઆત છે કે, આ પરિસ્થિતિમાં વિવાદીત આદેશ પસાર થઈ ના શકે અને વિનંતી છે કે આથી, ફેરતપાસની છૂટ આપવી જોઇએ.

(4) હાલની ફેરતપાસની અરજીનો વિરોધ કરતા પ્રતિવાદી નં. 1ના વિદ્વાન એડવોકેટ શ્રી પટેલ રજુઆત કરે છે કે, હાલની ફેરતપાસ ગ્રાહ્ય રાખવાની જરુર નથી, કેમ કે સૌ પ્રથમ તો હાલના અરજદાર દાવો કરવાનો અધિકાર ધરાવતા નથી. રજુઆત છે કે, કોઈ પણ સંજોગોમાં, નાયબ પોલિસ અધિક્ષકની કક્ષાના વરિષ્ઠ પોલિસ અધિકારીએ અદાલતના ચોક્કસ આદેશને પગલે ફરિયાદમાં તપાસ કરી છે અને તેમને પ્રથમદર્શી નજરે જણાયું છે કે કોઈ ગુનો થયો નથી અને તેમણે ભલામણ કરી છે કે સી સમરી ફાઇલ કરીને કાર્યવાહી આટોપી લેવી જોઇએ. રજુઆત છે કે, પોલિસ અધિકારીની આવી ભલામણનો વિરોધ કરવા માટે હાલના અરજદાર મુક્ત નથી અને કોઈ પણ સંજોગોમાં વિદ્વાન ન્યાયમૂર્તિએ તપાસ અધિકારી દ્વારા રજુ કરવામાં આવેલા અહેવાલને યોગ્ય રીતે વિચારણામાં લીધો છે અને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, કોઈ ગુનો બનતો ના હોવાથી કાર્યવાહી આટોપી લેવી જરુરી હતી. રજુઆત છે કે, વિવાદીત કાર્ટુનમાં માત્ર બે જ વ્યક્તિઓ, એક શ્રી મુલાયમસિંહ યાદવ અને બીજા સુશ્રી માયાવતીને દર્શાવ્યા હોવાનું અને તે તેમના જ સંદર્ભમાં હોવાનું સ્વીકારાયેલું હોવાથી, અરજદાર, કોઈ પણ સંજોગોમાં,  ફરિયાદ કરી શકે તેમ નથી, અને આ કાર્ટુન પ્રથમ નજરે કોઈ ગુનો આચરતું હોય, તો પણ આ સંદર્ભમાં હાલના ફરિયાદીને ફરિયાદ કરવાની છૂટ હોઈ ના શકે. હકીકતમાં, સદરહૂ કાર્ટુન દ્વારા અસર પામતી વ્યક્તિઓ, સદરહૂ કુ. માયાવતી અને શ્રી મુલાયમસિંહ યાદવને જ આના સંદર્ભમાં કોઈ તકરાર હોઈ શકે છે. રજુઆત છે કે, તેથી, અરજદારની આ સંદર્ભમાં કોઈ તકરારની સુનાવણી ના થઈ શકે અને રજુઆત છે કે, આ પરિસ્થિતિમાં, વિવાદીત આદેશ આપવા બદલ વિદ્વાન ન્યાયમૂર્તિના પક્ષે કશું જ ખોટું, અયોગ્ય કે ગેરકાનૂની નથી અને તેથી આ બાબતે કોઈ દરમિયાનગીરીની જરુર નથી અને ફેરતપાસ ફગાવી દેવી જોઇએ.

(5)  એ નોંધવું જરુરી છે કે, બંને પક્ષોની રજુઆતોને વિચારણામાં લેતાં અને ટ્રાયલ કોર્ટના રેકોર્ડ્સ અને કાર્યવાહી ધ્યાને લેતાં, એવું જણાય છે કે, બંને વાદીઓએ, એટલે કે હાલના અરજદાર તેમ જ પ્રતિવાદી નં. 1 બંનેએ ઘણા બધા ચુકાદાઓનો આધાર લીધો છે. પરંતુ આ અહેવાલને સમગ્રપણે ફેરવિચારણા કરવા માટે વિદ્વાન મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની અદાલતમાં મોકલવા માટેની કાર્યવાહી કરવા યોગ્ય આ કેસ છે એવું મારું મંતવ્ય છે અને એટલા જ કારણસર ઉપરોક્ત ચુકાદાઓનો હવાલો ફરીથી આપવો જરુરી નથી. મારા મતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકોની લાગણીઓ દૂભવી શકે તેવો ગુનો થયો હોવાના પર્યાપ્ત પ્રથમદર્શી પુરાવા કાર્ટુન પૂરા પાડે છે. રોસમ્મા થોમસ અને અન્ય વિરુદ્ધ સર્કલ ઇન્સપેક્ટર ઓફ પોલિસ, ત્રિપુનિથારા અને અન્ય કેસમાં (1999 Cri. L. J. 1666) કેરળ હાઇકોર્ટે આપેલા ચુકાદામાં સ્પષ્ટપણે એક પ્રમાણ નિયત થયું છે કે, અનુસૂચિત જનજાતિના સભ્યનું જાહેરમાં અપમાન કરવાનો કે તેને ઉતારી પાડવા પ્રથમદર્શી ગુનો કે ઇરાદો એટ્રોસીટી એક્ટની કલમ 3 (1) (10) હેઠળ આચરાયેલો ગુનો ગણાશે અને માત્ર જાતિના નામે સંબોધન કરવું એ ગુનો છે કે નહીં, આરોપીનો કોઈ ઇરાદો હતો કે નહીં એ બધા પ્રશ્નો પ્રારંભિક તબક્કામાં નક્કી થઈ શકતા નથી અને શરુઆતના તબક્કામાં એફઆઈઆર રદ કરી શકાતી નથી. હાલના અરજદાર ફરિયાદ દાખલ કરવાની અને હાલની ફેરતપાસ માગવાની કાયદેસરતા ધરાવતા નથી, એવી શ્રી પટેલની રજુઆતમાં મને ખાસ વજુદ જણાતું નથી. એટ્રોસીટી એક્ટની કલમ 3 અને ખાસ કરીને સદરહૂ કાયદાની કલમ 3 (1) (10)ની જોગવાઈઓને વાંચતા એકદમ સ્પષ્ટ થશે કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકોનું જાહેરમાં અપમાન કરવાનો ઇરાદો ધરાવતી વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલો ગુના કોને કહેવાય એ બાબતની કાળજીપુર્વક વિચારણા કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિને આવા જાહેર અપમાનની સીધી અસર ના થતી હોય, તો પણ તેના સંદર્ભમાં ફરિયાદ દાખલ કરતાં સહેજપણ અટકાવે કે રોકે તેવું કશું ઉપરોક્ત જોગવાઈઓમાંથી બહાર આવતું નથી, તેવું મારું મંતવ્ય છે. મારા મતે, એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (10)માં સમાવિષ્ટ જોગવાઈઓને પુનઃ ઉદ્ધૃત કરવી જરુરી છે, જે નીચે પ્રમાણે છેઃ

     3. અત્યાચારોના ગુનાઓ માટેની સજાઓઃ
(1) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો સભ્ય ના હોય તેવી કોઈ પણ વ્યક્તિ,
(10) કોઈપણ જાહેર સ્થળે અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓના કોઈ સભ્યને અપમાનીત કરવાના ઇરાદાથી જાણીબૂઝીને અપમાન કરે કે તેને ઉતારી પાડે, તો
દંડ સહિત છ માસથી ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી વધારી શકાય તેવી મુદત માટેની સજા થઈ શકશે.
મારા મતે, તેથી, આ સંદર્ભમાં શ્રી પટેલે કરેલી રજૂઆતોમાં કોઈ પાત્રતા નથી. વળી, પ્રારંભિક તબક્કે એફઆઈઆર રદ કરવી ખોટી અને અયોગ્ય હશે, જે વિવાદીત હુકમની અસરને કારણે થયું છે. મારા મતે, તેથી, વિવાદીત હુકમમાં ફેરવિચારણા કરવાની જરુર છે અને પક્ષકારોને તેમના કથનો ફરી રજૂ કરવાની તક આપવાની જરુર છે અને હું, તેથી, નીચે મુજબનો આદેશ આપું છુઃ

આદેશ

ફેરતપાસની છૂટ આપવામાં આવે છે. તારીખ 7-8-2003નો વિવાદીત આદેશ  રદ કરવામાં આવે છે. શાહપુર પોલિસ સ્ટેશન સાથે સંકળાયેલા તપાસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી અંગે ફેરવિચારણા કરવાના આદેશ સાથે કાર્યવાહી વિદ્વાન મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. 18ની કોર્ટમાં સુપ્રત કરવામાં આવે છે. અને એટ્રોસિટીઝ એક્ટની કલમ 3 (1) (10)ની જોગવાઈઓને ધ્યાનમાં લઇને હકીકતો અને પરિસ્થિતિઓને વિચારણામાં લીધા બાદ જ યોગ્ય આદેશ આપવામાં આવે. તદઅનુસાર ફેરતપાસનો નિકાલ કરવામાં આવે છે.

આજે તા. 31મી જાન્યુઆરી, 2005ના દિવસે ખુલ્લી અદાલતમાં જાહેર કરવામાં આવ્યું.

(પી. બી. દેસાઈ)
વધારાના સેશન્સ જજ
કોર્ટ નં. 6, અમદાવાદ શહેર

   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો