કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 5 ઑગસ્ટ, 2013

સ્વામી વિવેકાનંદના વિચારો આજે કેટલા સ્વીકાર્ય છે?



સ્વામી વિવેકાનંદ જાતિપ્રથાને જડમૂળથી ઉખેડી ફેંકવાની તરફેણમાં નહોતા. જાતિપ્રથા માટેના તેમના વિચારો રસપ્રદ છે, પરંતુ તેમણે આડકતરી રીતે તો જાતિપ્રથાના વખાણ જ કર્યા હતા. તેઓ કહે છે, "જ્ઞાતિઓને નિર્મૂળ કરી નાખવાનું મારું સૂચન નથી. જ્ઞાતિ એક સારી વસ્તુ છે. આપણે જેને અનુસરવું છે તે યોજના જ્ઞાતિ-વ્યવસ્થાની છે. જ્ઞાતિ ખરેખર શું છે, એ લાખોમાંથી એક પણ સમજતો નથી. દુનિયામાં એક દેશ એવો નથી કે જ્યાં જ્ઞાતિ ન હોય. ભારતમાં જ્ઞાતિપ્રથામાંથી આગળ પ્રગતિ કરીને જ્યાં જ્ઞાતિ જ નથી તેવી અવસ્થાએ આપણે પહોંચીએ છીએ. જ્ઞાતિપ્રથા પહેલેથી છેલ્લે સુધી એક જ સિદ્ધાંત ઉપર આધારિત છે. બ્રાહ્મણ એ માનવ જાતિનો આદર્શ હોવાથી ભારતની યોજના દરેક વ્યક્તિને બ્રાહ્મણ બનાવવાની છે. જો તમે ભારતનો ઇતિહાસ વાંચશો તો તમને જોવા મળશે કે નીચલા વર્ગોને ઉપર ચડાવવાના પ્રયત્નો હરહંમેશ કરવામાં આવ્યા છે. ઘણાય વર્ગોને ઉપર ચડાવવામાં આવ્યા છે, બીજા ઘણાયને ચડાવવામાં આવશે અને અંતે આખી પ્રજા બ્રાહ્મણત્વને પામશે. યોજના એ છે. આપણે કોઈને નીચે પાડયા વિના માત્ર તેમને ઉપર ચડાવવાના છે."

બ્રાહ્મણ માટેના વિવેકાનંદના વિચારો પણ લગીરે સ્વીકારી શકાય તેમ નથી, જ્યારે તેઓ કહે છે, "આપણા પૂર્વજોનો આદર્શ માનવ હતો બ્રાહ્મણ. યુરોપમાં નામદાર કાર્ડિનલ સાહેબ કરીને ખ્રિસ્તીઓમાં ઘણો ઉંચો ધાર્મિક હોદ્દો ધરાવતા વડા હોય છે. પોતાના પૂર્વજોની કુલીનતા સાબિત કરલવા એ તનતોડ પ્રયાસ કરે છે અને હજારો પાઉન્ડ ખર્ચી નાંખે છે. તેમને સંતોષ ત્યારે જ થાય કે શોધખોળ ચલાવતા ચલાવતા એવું નીકળી આવે કે તેમનો આદિ પૂર્વજ કોઈ ભયંકર જુલમગાર હતો, એક ડુંગરા ઉપર પડાવ નાખીને રહેતો હતો, ત્યાં થઈને નીકળતા લોકો ઉપર નજર રાખતો અને જ્યારે જ્યારે તક મળતી ત્યારે તેમના ઉપર તૂટી પડતો તથા તેમને લૂંટી લેતો! ....... ભારતમાં જાતિ ત્યારે જ ઉંચી કહેવાય જ્યારે મૂળપુરૂષ કોઈ ઋષિ હોય, નહીંતર નહીં .... આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ એમ હું કહું છું, એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ બ્રાહ્મણત્વમાં સંસારીપણાનો સંપૂર્ણ અભાવ હોય અને સત્યજ્ઞાન વિપુલ પ્રમાણમાં ભર્યુ હોય. આ આદર્શ છે સમગ્ર હિન્દુ જાતિનો."

બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વની તેમની વ્યાખ્યા તો ખરેખર હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે, "બ્રાહ્મણ જ્ઞાતિ અને બ્રાહ્મણત્વના ગુણો એ બે અલગ વસ્તુઓ છે. ભારતમાં માણસ પોતાની જ્ઞાતિથી બ્રાહ્મણ મનાય છે, પરન્તુ માણસને તેના બ્રાહ્મણત્વના ગુણોથી બ્રાહ્મણ ગણવો જોઇએ. જેવી રીતે સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો છે. તેવી જ રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય કે શુદ્ર છે તે બતાવી આપનારા ગુણો પણ છે. બ્રાહ્મણ કે ક્ષત્રિયોના ગુણો આપણા દેશમાંથી નાબૂદ થતા જાય છે, પરંતુ પશ્ચિમમાં હવે લોકોએ ક્ષત્રિયત્વ પ્રાપ્ત કર્યુ છે અને તેના પછીનું પગથિયું છે, બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું તે. પશ્ચિમમાં એવા કેટલાયે લોકો છે કે જેમણે પોતાને બ્રાહ્મણત્વને માટે લાયક બનાવ્યા છે."

અને હવે તો તમને લાગશે જ કે સ્વામી વિવેકાનંદ વાસ્તવિકતાથી જોજનો દૂર છે, જ્યારે તેઓ કહે છે, "હિન્દુ જાતિના આદર્શ બ્રાહ્મણ અંગેની ઘોષણા તમે સાંભળી નથી, એ આદર્શ બ્રાહ્મણ માટે કાયદો નથી, એના ઉપર રાજાનો અધિકાર નથી. એના દેહને ઇજા કરી શકાતી નથી, એ સંપૂર્ણ રીતે સાચું છે. સ્વાર્થી અને શિક્ષણ વગરના મૂર્ખાઓએ ઘટાવેલી એની સમજૂતીનો આધાર લેતા નહીં, સાચા અને મૌલિક વેદાન્તિક વિચારોના પ્રકાશમાં એને સમજજો. જો બ્રાહ્મણ એટલે જેણે સ્વાર્થનો સંપૂર્ણ નાશ કર્યો છે તે હોય, જેનું જીવન અને કાર્ય, જ્ઞાન અને પ્રેમની શક્તિ મેળવવા અને પ્રચાર કરવા માટેનું હોય, જો આખો એક દેશ આવા બ્રાહ્મણોથી વસેલો હોય, અધ્યાત્મશક્તિવાળા, નીતિમાન સજ્જન નર-નારીઓથી વસેલો હોય, તો એવા દેશ કાયદાની બહાર અને કાયદાથી પર હોય એમ ધારવું એ શું વિચિત્ર છે? એવા રાષ્ટ્ર પર રાજ ચલાવવા કઇ પોલીસની કે ક્યાં લશ્કરની જરૂર હોય? એ લોકો સારા છે, ખાનદાન છે અને ઇશ્વરપરાયણ છે. આ લોકો આપણા આદર્શ બ્રાહ્મણો છે, આપણે વાંચીએ છીએ કે સત્યયુગમાં માત્ર એક જ વર્ણ હતો- બ્રાહ્મણ વર્ણ- આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે આરંભમાં આખી દુનિયા બ્રાહ્મણોથી વસેલી હતી. જેમ જેમ તેઓ નીચે ઉતરતા ગયા તેમ તેમ વર્ણોના જુદા જુદા વિભાગો થતા ચાલ્યા. વળી જ્યારે કલ્પ પૂરો થશે ત્યારે તેઓ બધા પાછા પૂર્વના બ્રાહ્મણત્વને પામશે. હવે એ કલ્પ પાછો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એ હકીકત તરફ હું તમારું ધ્યાન દોરું છું તેમના (રામકૃષ્ણના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ દિવ્ય પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, ભણેલ અને અભણ વચ્ચેનો, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેનો બધા ભેદભાવો નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા. હિન્દુઓ અને મુસલમાનો તેમ જ હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે, જુદાપણાનો જે ઝગડો હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે."

દલિતો માટેનો તેમનો પ્રેમ સમાનતા આધારીત નથી, પરંતુ ઉપલી જાતિઓને દલિત જાતિઓના ખૌફમાંથી બચાવવાની વેતરણમાંથી જન્મ્યો છે. એટલે જ તેઓ કહે છે,"અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઇ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના ખરા આધાર છે. તેમની મહેનતથી જ અનાજ પેદા થાય છે. આ ગરીબ લોકો-આ ઝાડૂવાળાઓ અને મજૂરો –જો એક દિવસને માટે કામ બંધ કરી દે તો શહેરમાં ગભરાટ ફેલાઈ જાય, પરંતુ તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર કોઈ જ નથી. તેમના દુ:ખમાં મદદ કરનાર કોઈ જ નથી. જરા વિચાર કરો. હિન્દુઓ તરફની  હમદર્દીના અભાવે મદ્રાસમાં હજારો અંત્યજો ખ્રિસ્તી થઈ જાય છે. તેમ ન માનો કે માત્ર દુ:ખથી આમ થાય છે તેનું  કારણ  એ છે કે આપણા તરફથી કઇં જ સહાનુભૂતિ મળતી નથી. રાતદિવસ આપણે તેમને કહીએ છીએ 'અમને અડશો નહીં!' ને અમને અડશો નહીં!' આ દેશમાં કઇંક ભેદભાવ કે સહ્રયતા છે ખરા? માત્ર આ 'આભડછેટિયાઓ'નો વર્ગ છે. આવા રીતરિવાજોને લાત મારીને ફેંકી દો! મને કેટલીક વાર એવું થઈ જાય છે કે હું એ આભડછેટના અંતરાયોને તોડીફોડીને  તેમની પાસે પહોંચી જઇ પોકાર કરું કે 'આવો ભાઈઓ! જેઓ બધા ગરીબ, દુ:ખી, દીન અને કચડાયેલા છો તે સહુ આવો!' અને તેમ કરીને તે બધાને શ્રીરામકૃષ્ણને નામે સાથે લઈ જાઉં. જ્યાં સુધી તેમની ઉન્નતિ નહિ થાય ત્યાં સુધી જગદંબા જાગશે નહિ...... આપણે તેમની આંખો ઉઘાડીએ. મને તો દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે તેઓમાં અને મારામાં એક જ બ્રહ્મ છે. એક જ દિવ્ય શક્તિ આપણા સહુમાં વસે છે. માત્ર અભિવ્યક્તિનો ફરક છે. જ્યાં સુધી દેશ સમગ્રના શરીરમાં લોહી ફરે નહીં ત્યાં સુધી કોઈ દેશ કોઈ વખતે ઉન્નત થયો છે? જો એક અંગ ખોટું પડી ગયું હોય, બીજા અવયવો અખંડ હોય તો પણ તે શરીરથી ઝાઝું કામ ન થઈ શકે. એ જરૂર જાણજો..... આટલી તપશ્ચર્યા પછી હું ખરું સત્ય આ સમજ્યો છું કે દરેક જીવમાં ઇશ્વર છે, જીવમાં રહેલા ઇશ્વર સિવાય બીજો કોઈ ઇશ્વર નથી. જે જીવની સેવા કરે છે તે શિવની જ સેવા કરે છે."

ભારત અને અમેરિકા વચ્ચે શું ફરક છે તેની તો સ્વામીજીને ખબર જ છે, તેઓ કહે છે, "આપણા દેશમાં જો કોઈ હલકી જાતિમાં જન્મ્યો તો પછી તેનું આવી બન્યુ. પછી એને ઉંચા આવવાની કોઈ આશા રહેતી નથી. આનું કારણ શું? કેવી જુલમશાહી? આ દેશમાં (અમેરિકામાં) વ્યક્તિમાત્રના ઉદય માટે શક્યતાઓ, તકો અને આશા સાંપડી રહી છે. આજે ભલે એ ગરીબ હોય, પણ આવતીકાલે ધનવાન, વિદ્યાવાન અને સામાન્ય બની જાય છે. અહીં દરેક વ્યક્તિ ગરીબોને સહાય કરવા આતુર હોય છે. ગરીબના કલ્યાણ કરવા માટે ત્યાં કેટલી ધર્માદા સંસ્થાઓ વિદ્યામાન છે? ભારતમાં લાખો ગરીબોનાં દુ:ખો અને યાતનાઓ માટે કેટલા લોકો હ્રદયપૂર્વક રડે છે? શું આપણે મનુષ્યો છીએ? ગરીબોની આજીવિકા તથા ઉન્નતિ માટે આપણે શું કરીએ છીએ? આપણે તેમનો સ્પર્શ કરતા નથી, તેમના સંસર્ગથી દૂર રહીએ છીએ. શું આપણે મનુષ્યો છીએ? પેલા હજારો બ્રાહ્મણો, ભારતની ગરીબ કચડાયેલી જનતા માટે તેઓ શું કરી રહ્યા છે? એમના હોઠ ઉપર તો માત્ર 'અડશો મા', અડશો મા' એક જ સૂત્ર રમી રહ્યું છે. એમના હાથે આપણો સનાતન ધર્મ કેવો હીન અને અવનત થઈ ગયો છે! અત્યારે આપણો ધર્મ શેમાં સમાઈ રહ્યો છે? કેવળ 'અડશો મા'ની બૂમોમાં જ, બીજે ક્યાંય નહીં!."

પછાત વર્ગોને સંસ્કૃતનો અભ્યાસ કરવાનું તેઓ કહે છે. અત્યારે ભાજપ અને સંઘ પરિવાર આવી જ પીપુડી વગાડી રહ્યા છે. વિવેકાનંદ કહે છે,"બ્રાહ્મણેતર વર્ણોને મારે કહેવાનુ છે કે જરા થોભો, ઉતાવળ ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝગડો કરવાની એકેએક તક ઉપાડી ન લો, કારણ કે મેં તમને બતાવ્યું તેમ તમે તમારા પોતાના જ વાંકે હેરાન થાઓ છો. આધ્યાત્મિકતા અને સંસ્કૃતના અભ્યાસ વિષે બેદરકાર રહેવાનું તમને કોણે કહ્યું હતું? આ બધો સમય તમે શું કરતા હતા આવ્યા છો? શા માટે બેદરકાર રહ્યા? બીજા કોઈકમાં વધુ બુદ્ધિ, વધુ સામર્થ્ય, વધુ આવડત અને વધુ સાહસ હોય એથી હવે તમે ધુંવાપુંવા શા માટે થાઓ છો? છાપામાં વ્યર્થ વાદવિવાદો અને ચર્ચાઓ ચલાવવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમારા પોતાના ઘરમાં જ કજીયો અને મારામારીનું પાપ લાવવા કરતા, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો ને? એ કરો એટલે તમારું કામ પતી ગયું! શા માટે તમે સંસ્કૃતના વિદ્વાનો નથી બનતા? ભારતની અંદર તમામ વર્ણોને સંસ્કૃતનું શિક્ષણ આપવા સારું શા માટે લાખોનો ખર્ચ નથી કરતા? મુખ્ય પ્રશ્ન એ જ છે. જે ઘડીએ તમે તે કરવા લાગશો, તે ઘડીએ તમે બ્રાહ્મણની કક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે ..... સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક સાથે રહે છે."

"નીચલી જાતિઓના લોકો! હું તમને કહું છે કે એક માત્ર સલામતી, તમારી સ્થિતિને ઉંચે લાવવાનો એકમાત્ર રસ્તો સંસ્કૃતનો અભ્યાસ છે. આ ઉચ્ચ વર્ણો સાથે ઝગડા કરવા, તેમની વિરુદ્ધ લખાણો લખવાં અને બખાળા કાઢવા, એ બધું વ્યર્થ છે. એથી કાંઈ નથી મળતું, માત્ર લડાઈ અને ઝગડા થાય છે. અને કમનસીબે અત્યારે વિભક્ત બનેલી પ્રજા તેથી વધુને વધુ વિભક્ત થતી જવાની છે. વર્ગોને, જ્ઞાતિઓને સમાન કક્ષાએ લાવવાનો એક માત્ર રસ્તો સંસ્કારિતાને, ઉચ્ચ વર્ગોની શક્તિરૂપ જે શિક્ષણ છે તેને અપનાવવાનો છે. એ કરો એટલે તમને જે જોઇએ તે આવી મળ્યુ સમજો."

વિવેકાનંદ બ્રાહ્મણને નાગ સાથે સરખાવે છે એ સંદર્ભ પણ સમજવા જેવો છે, "બ્રાહ્મણવર્ગને મારી આગ્રહભરી વિનંતી છે કે, તેમણે પોતે જે જાણે છે તે ભારતમાં લોકોને શીખવીને, સદીઓથી સંગ્રહી રાખેલી પોતાની સંસ્કારિતા એ લોકોને આપી દઇને તેમને ઉંચે લાવવાનો સખત પરિશ્રમ કરવો. સાચું બ્રાહ્મણત્વ શું છે એ યાદ રાખવાની ભારતના બ્રાહ્મણોની પૂરેપૂરી ફરજ છે. મનુ કહે છે તેમ બધા અધિકારો અને માન-સન્માન બ્રાહ્મણને એટલા માટે આપવામાં આવેલ છે કે તેની પાસે સદગુણોનો ભંડાર રહે છે.' તેણે એ ભંડારને ખોલીને તેમાનાં રત્નો વિશ્વમાં સહુને વહેંચી દેવાના છે. એ વાત સાચી છે કે ભારતીય પ્રજાઓને પ્રાચીનકાળમાં ઉપદેશ આપનાર બ્રાહ્મણ હતો. અન્ય વર્ણો પહેલા જીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા અર્થે સર્વસ્વનો ત્યાગ કરનારો એ ભારતીય બ્રાહ્મણ હતો. બીજા વર્ણો કરતાં એ આગળ વધી ગયો એ કઈં એનો દોષ ન હતો.... પરંતુ લાભ ઉઠાવવો એ એક બાબત છે અને તેને દુરુપયોગ માટે જાળવી રાખવો એ બીજી બાબત છે. જ્યારે જ્યારે સત્તા અનિષ્ટને માટે વપરાય છે ત્યારે એ રાક્ષસી રૂપ ઘારણ કરે છે, સત્તા કેવળ શુભને માટે જ વપરાવી જોઇએ. તેથી સદીઓ થયા સંગ્રહાયેલી આ સંસ્કારિતાનો બ્રાહ્મણ ટ્રસ્ટી છે. તેણે તે સામાન્ય જનસમુદાયને આપી દેવી જોઇએ. તેણે એ લોકોને આપી નહીં એ કારણે જ મુસલમાનોની સવારી સંભવિત બની. તેણે શરૂઆતમાં જ આ ભંડાર લોકોને માટે ખુલ્લા કરી દીધા નહીં. એટલા માટે જ આપણે હજાર વરસથી ભારત પર જે લોકો ચડી આવ્યા તે દરેક પરદેશીની એડી તળે કચરાતા આવ્યા છીએ. એને લીધે જ આપણે અધોગતિએ પહોંચ્યા છીએ. આથી સૌથી પહેલું કર્તવ્ય આપણા પૂર્વજોએ સંઘરી રાખેલા અલૌકિક ભંડારોને ખોલી નાખો અને સૌ કોઈને એમાંથી આપવા માંડો, બ્રાહ્મણે એ કામ સૌથી પહેલુ  કરવાનું છે. એક જૂની માન્યતા છે કે જે જગ્યાએ નાગદેવતા કરડે, તે જગ્યાએથી એ જ નાગ પાછો ઝેર ચૂસી લે તો એ માણસ બચી જાય. તો હવે બ્રાહ્મણદેવતાઓએ પોતાનું ઝેર ચૂસી લેવું જોઇએ."

દેશની ડૂબતી નૈયા તરફ તેમની નજર છે. એટલે જ તેઓ આ નૈયા ડૂબાડનારા લોકોને અપીલ કરતા કહે છે, "હું તમને બધાને ચાહું છું એનું કારણ કે તમે બધા દેવતાઓના સંતાન છો, અને મહિમામંડિત પિતૃઓના વંશજો છો. મારાથી તમને શાપ કે ગાળ કેમ દઈ શકાય? એ કદી પણ બને નહીં. તમારા પર ઇશ્વરના આશીર્વાદ ઊતરો. મારાં બાળકો! હું અહીં મારી બધી યોજનાઓ તમને કહેવા માટે આવ્યો છું. જો તમે તેના પર ધ્યાન દેશો તો હું તમારી સાથે હાથમાં હાથ મિલાવીને, ખભેખભા મિલાવીને કાર્ય કરવા તૈયાર છું. પણ કદાચ તમે એ તરફ ધ્યાન નહીં આપો, અને કદાચ મને લાત મારીને ભારતની બહાર કાઢી મૂકશો, તો પણ યાદ રાખજો કે હું પાછો આવીશ અને તમને ચેતાવીશ કે ભાઈઓ! આપણું નાવ ડૂબે છે, આપણે બધા ડૂબીએ છીએ! હું તો તમારી વચ્ચે બેસવા આવ્યો છું. જો આપણો ડૂબવું જ પડે, તો બધા એક સાથે ભલે ડૂબીએ, પણ શાપ કે ગાળો તો આપણા મોઢેથી ન જ નીકળે."




1 ટિપ્પણી:

  1. उन्होंने कहा, 'मुझे एक ऐसे देश का व्यक्ति होने का अभिमान है, जिसने इस पृथ्वी की समस्त पीड़ित और शरणागत जातियों तथा भिन्न धर्मों के बहिष्कृत मतावलम्बियों को आश्रय दिया है।' उन्होंने यहाँ इतिहास के इस सच को छिपाया कि जिस देश पर उन्हें अभिमान है, उसी देश में करोड़ों लोगों को दास, अछूत और बहिष्कृत बना कर रखा गया है, जिन्हें मानवीय अधिकार तक प्राप्त नहीं थे।

    જવાબ આપોકાઢી નાખો