કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

‘બોક્સર’ ભરત વાઘેલા - ગુજરાત સમાચારના તંત્રીને તમાચો ઠોકનાર યુવાનની ચિરવિદાય

વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જાહેરાત કરતા મેયર ગોપાલદાસ સોલંકી. બાબાસાહેબના તૈલચિત્રના સાનિંધ્યમાં લડાકુ કર્મશીલ ભરત વાઘેલા
વિશ્વ કેન્સર દિવસની પૂર્વસંધ્યાએ દલિત આંદોલનના બહાદુર, જિંદાદિલ, લડાકુ કર્મશીલ ભરત વાઘેલાએ આપણી વચ્ચેથી યુવાન વયે ચિરવિદાય લીધી અને એ પણ કેન્સરનો ભોગ બનીને એ એક અત્યંત હ્રદયવિદારક ઘટના હતી. ‘બોક્સર’ના હુલામણા નામથી જાણીતા ભરત વાઘેલાનો પરિચય 1981ના અનામત વિરોધી રમખાણો વખતે થયો હતો, જ્યારે તેમના જેવા મુઠ્ઠીભર યુવાનો જીવના જોખમે અમદાવાદમાં અનામત-વિરોધીઓ વચ્ચે ઘેરાયેલા દલિતોના મહોલ્લાઓની વહારે ચડ્યા હતા. આજે અનામતનો ફાયદો મેળવનારા લોકોએ મને કમને સમાજ પરિવર્તનની વાત વિસારે પાડી દીધી છે ત્યારે જૂની અને નવી બંને પેઢીઓએ ભરત વાઘેલાની સ્મૃતિ તાજી કરવા જેવી છે. 

ભરત ખાનપુરના મિરાસીવાડમાં જન્મ્યા હતા. તેમના પિતા મીન્ટુભાઈ ગાંધીજીના અંતેવાસી કીકાભાઈ અને કેશવજી વાઘેલાના પરિવારમાંથી આવતા હતા એટલે સામાજિક નિષ્ઠા અને રાજકીય સૂઝ-સમજ ભરતભાઈને વારસામાં જ પ્રાપ્ત થઈ હતી, એટલે તેઓ નાનપણથી બાબાસાહેબ આંબેડકર અને કાર્લ માર્ક્સની ઉદ્દામ વિચારસરણી તરફ આકર્ષાયા હતા. ગુજરાતમાં દલિત પેંથરની સ્થાપના થઈ ત્યારે અમદાવાદના ખાનપુર વિસ્તારથી એક ઐતિહાસિક રેલી નીકળી હતી અને છેક બહેરામપુરા કેલિકો મિલના મેદાને જઇને જાહેરસભાના રૂપમાં ફેરવાઈ હતી. મીરાસીવાડના તરવરીયા યુવાન પેંથર ભીખુભાઈ પરમારની આગેવાની હેઠળ હજારો યુવાનો ‘જય ભીમ’ના નારા પોકારતા જયપ્રકાશ ચોકમાં એકઠા થયા હતા. ભડભડતી આગમાં કૂદી પડવાનું હોય અને પાછા પડે તો એ ભરત વાઘેલા નહીં. જેતલપુરના દલિત યુવાન શકરાને જ્યારે જીવતો સળગાવ્યો ત્યારે ભરત વાઘેલા એકલા હાથે શકરાની બળેલી લાશ ઉંચકીને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી બહાર લઇને આવ્યા હતા. તેમની સાથે ખાનપુર સહિત સમગ્ર અમદાવાદના હજારો યુવાનો જોડાયા હતા અને જેતલપુર તથા સમગ્ર ગુજરાતને દલિત આક્રોશનો પરિચય કરાવ્યો હતો.

1981 પછી જાતિ નિર્મૂલન સમિતિની સ્થાપનામાં ભરત વાઘેલાએ પાયાની ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે ફદાલી વાસના દિવંગત ધનસુખ કંથારીયા, રાજેન્દ્ર જાદવ, નવનીત રાઠોડ, મનુભાઈ પરમાર, રાયખડના કનુ સુમરા જોડાયા હતા અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ‘બામણવાદની બારાખડી’ નામનું ઐતિહાસિક શેરી નાટક ભજવ્યું હતું. 1985માં અનામતની તરફેણમાં દલિત સમાજની સંગઠિત તાકાત ઉભી કરવામાં ભરત વાઘેલા જેવા યુવાનોએ અપ્રતિમ ફાળો આપ્યો હતો. અમદાવાદમાં બોમ્બ ઘડાકા થતા હોય અને જાતિ નિર્મૂલનના યુવાનો પરા વિસ્તારોમાં શેરી નાટકો કરતા અને હજારો લોકો તેમને જોવા સાંભળવા એકઠા થતા હતા. કલોલમાં અનામત-તરફી રેલી નીકળવાની હતી ત્યારે બે દિવસ અગાઉ જાતિ નિર્મૂલન સમિતિના યુવા કલાકારો પહોંચી ગયા અને કલોલના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો ભજવીને લોકોને મોબીલાઈઝ કર્યા હતા. રેલી નીકળી ત્યારે રસ્તામાં કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને લોકો ગભરાઈને નાસભાગ કરવા લાગ્યા ત્યારે જાતિ નિર્મૂલનના કાર્યકરો રસ્તા વચ્ચે ઉભા રહી ગયા અને રેલીને ગંતવ્ય સ્થાને પહોંચાડી હતી. કટોકટીના આવા તમામ પ્રસંગોએ ભરત વાઘેલા ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહેતા હતા. 

1981 અને 1985માં ગુજરાતના અખબારોએ વિકૃત, ખોટા, એકતરફી સમાચારો છાપીને દલિત-વિરોધી માનસિકતાનો જુવાળ ઉભો કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડીયાએ  વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીઝની આગેવાની હેઠળ નામાંકિત પત્રકારોની તપાસ સમિતિ ગુજરાત મોકલી હતી અને તેમણે તલસ્પર્શી છણાવટ પછી ‘ક્રુકેડ મીરર’ (કપટી અરીસો) નામનો રીપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં ગુજરાત સમાચાર, સંદેશની જાતિવાદી, દલિત-વિરોધી માનસિકતા ઉજાગર કરી હતી. ઘણા લોકોને આ તમામ હકીકતોની ખબર છે, પરંતુ બહુ થોડા લોકોને એ વાતની ખબર છે કે 1985માં ગુજરાત સમાચારના ખાનપુરમાં આવેલા પ્રેસની બહાર જ ભરત વાઘેલાએ તંત્રી શાંતિલાલ શાહના ગાલે એક સણસણતો તમાચો ઠોકીને જાતિવાદી તંત્રીની શાન ઠેકાણે લાવી દીધી હતી. 

માત્ર પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતા ભરત વાઘેલાની ભીતરમાં ઉર્જાનો અપ્રતીમ સ્રોત હતો. એમના લોખંડી પંજાનો જેમણે સ્વાદ ચાખ્યો હોય તે જિંદગીભર ભૂલતા નહોતા. આજથી ત્રીસ વર્ષ પહેલાં ખાનપુરની લકી હોટલ પર એક સાથે અડધો ડઝન મવાલીઓનો મુકાબલો કરીને માત્ર એક જ મુક્કામાં તેમને ભોંયભેગા કરનારા ભરત વાઘેલાને જેમણે જોયા છે તેવા લોકો આજે પણ એ દિલેર યુવાનને દિલથી યાદ કરે છે અને કહે છે કે જાતિવાદી-કોમવાદી મવાલીઓથી દલિત સમાજનું રક્ષણ કરનારા નરબંકાઓને આપણે ભૂલી શકીશું નહીં. ગુજરાતના ગામડાઓમાં ક્યાંય પણ અત્યાચાર થયા હોય ત્યારે દલિતોની પડખે જઇને ઉભા રહેવા માટે ભરત વાઘેલા હંમેશાં તત્પર રહેતા અને પોતાની આછી પાતળી કમાણી તેમાં વપરાય જાય તો તેની પણ પરવા કરતા ન હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું ટોડા ગામ હોય કે બનાસકાંઠાનું સાંબરડા ગામ હોય, ભરત વાઘેલા આ લખનારની સાથે અચૂક પહોંચી જતા અને લોકોને જૂલ્મોની સામે લડવાનો જુસ્સો પૂરો પાડતા હતા. 1989માં અમદાવાદમાં ટોડા-સાંબરડાની રેલી યોજવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વરસતા વરસાદમાં પત્રીકાઓ વહેંચી હતી. 

1989માં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા બ્રહ્માણીનગર પર મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરો ફરી વળ્યા અને ભર ચોમાસામાં દલિતોના બસો પરિવારોના માથેથી છત ઉખડી ગઈ ત્યારે દાણાપીઠ પાસે આવેલી કોર્પોરેશનની કચેરીના કમ્પાઉન્ડમાં હિજરત કરીને ધરણા પર બેઠેલા દલિતોને એક મહિના સુધી ભરત વાઘેલા અને કનુ સુમરાની આગેવાની હેઠળ રાયખડના સરફરોશ યુવાનોએ રસ્તા પર દેગો ચડાવીને જમાડ્યા, આંદોલન ચલાવ્યું અને ઘરવિહોણા દલિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની મેયર ગોપાલદાસ સોલંકીને ફરજ પાડી હતી.

1985માં અનામતના વિરોધમાં સમગ્ર ગુજરાત બંધનો કોલ અપાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ પણ કોલમાં જોડાઈ હતી અને મંદિરો બંધ રાખ્યા હતા. જાતિ નિર્મૂલનના મિત્રોએ લાલ દરવાજા દેખાવો કર્યા હતા. પોલિસે તેમની ધરપકડ કરીને બે દિવસ ગાયકવાડની હવેલીના લોકઅપમાં રાખ્યા હતા. ત્યારે ભરત વાઘેલા અમારી પડખે અડીખમ યોદ્ધાની જેમ ઉભા હતા. આજે કશું પણ કર્યા વિના લોકો સમાજ માટે બહુ મોટા કામો કર્યા હોવાનો દેખાડો કરે છે ત્યારે ભરત વાઘેલા જેવા સમાજ માટે મરી ફીટનારા યુવાનોની ઘણી ખોટ સાલશે. ટીકેશ મકવાણા, પ્રો. બાબુભાઈ કાતીરા (કોડીનાર)ના અકાળ અવસાનો પછી ભરત વાઘેલાના યુવાન વયે દુખદ અકાળ અવસાનથી દલિત સમાજ રાંક બન્યો છે. એમના જીવનના પ્રેરણાદાયી તત્વો આપણને સદા સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા પ્રેરતા રહે તેવી ભાવના સાથે વીરમુ છું.




1 ટિપ્પણી: