કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

સુરેશ ગોગીયાનો છૂટકારો



ગઈ કાલે સાંજે 6 વાગે સુરેશ ગોગીયા સુરેન્દ્રનગર સબ જેલમાંથી છૂટ્યો. ઘણા દિવસોની તપસ્યા બાદ દિકરાને જેલમાંથી મુક્ત થયેલો જોઇને સુરેશના પિતા વાલજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. છેલ્લા પાંચ મહિનાથી વાલજીભાઈ વિહ્વળ હતા. તેમના દીકરાને અકારણ પોલિસ પકડીને લઈ ગઈ હતી. ત્રણ કિશોરોના મૃત્યુ પછી થાનગઢમાં હજારો દલિતો આવ્યા અને ગયા. શહીદોના નામ પર ઘણો તમાશો થયો.  ભાજપ-કોંગ્રેસે પેટ ભરીને રાજકારણ ચલાવ્યું, રાજકીય પક્ષોના મોટા મોટા નેતાઓ આવ્યા, પરંતુ કોઇએ વાલજીભાઈને ઘરે જઇને સુરેશના ત્રણ છોકરાઓ તથા તેની પત્નીની ખબર પણ ના પૂછી. કોઇએ ગરીબી અને બદકિસ્મતીના શિકાર સુરેશ ગોગીયાના પરિવારને એક રૂપિયાની પણ મદદ કરવાનું ઉચિત ના માન્યુ.

25 સપ્ટેમ્બર 2012ના રોજ જ્યારે અમે થાનગઢ ગયા હતા અને ચલો થાનનો કોલ આપ્યો હતો ત્યારે સુરેશ ગોગીયાની પત્નીએ ચીસો પાડી પાડીને જણાવ્યું હતું કે, કેવી રીતે તેના નિર્દોષ પતિને પોલિસ લઈ ગઈ હતી. એક સીધો સાદો માણસ જેણે પોતાની 35 વર્ષની ઉમરમાં કોઈને થપ્પડ પણ ના મારી હોય તેના પર કેવા કેવા ભયાનક અપરાધો ઠોકી દેવામાં આવ્યા છે. ત્યારે અમે મનોમન નિશ્ચય કર્યો હતો કે સુરેશ ગોગીયાને ન્યાય આપવા માટે અમે જરૂર કંઇક કરીશું.

ગઈ કાલ સવારે સાથી મહેશ ચોહાણ અને કનુ સુમરા સાથે અમે સુરેન્દ્રનગર જવા નીકળ્યા, ત્યારે દિલમાં એક જ ઉમ્મીદ હતી કે આજે સાંજ પહેલા સુરેશ ગોગીયાનું તેના વ્યાકુળ પરિવાર સાથે મિલન થઈ જાય. અમદાબાદથી લીંમડી એડિશનલ સેશન્સ જજની કચેરી જવાનું, ત્યાંથી બેઇલ ઓર્ડરનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સુરેન્દ્રનગર જવાનું, ફરી સુરેન્દ્રનગરથી લીંમડી કોર્ટમાં બેઇલ પર જજની સહી લેવાની, અને પછી કોર્ટનો આદેશ લઇને ફરી સુરેનદ્રનગર સબ જેલ જઇને સરેશ ગોગીયાની જમાનત કરાવવાની. આખો દિવસ આજ દોડધામમાં નીકળી ગયો અને બધા સાથીઓ તથા સુરેશના પિતા થાકી ગયા. પરંતુ સાંજે જ્યારે સુરેશ જેલથી બહાર આવ્યો ત્યારે બધાનો થાક દૂર થઈ ગયો.

આદરણીય જજ સોનિયા ગોકાણીએ સુરેશની નિયમિત જામીનની અરજી મંજુરી કરતી વેળાએ એ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું કે 1) સુરેશ પર સેક્શન 307 હેઠળ ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે, 2) (જે વ્યક્તિઓને ઇજા પહોંચાડવાનો આરોપ તેના પર છે તેમને) મામૂલી ઇજા થઈ છે એવું રેકોર્ડથી ખબર પડે છે, 3) (સુરેશે) કોઈ ખાસ વ્યક્તિને ઇજા પહોંચાડવામાં ચોક્કસ ભૂમિકા ભજવી નથી. બચાવ પક્ષની આ દલીલોને કોર્ટે એક રીતે સ્વીકારીને સુરેશને જામીન આપ્યા છે. 

વરિષ્ઠ, વિદ્ધાન એડવોકેટ મુકુલ સિંહા, તેમની ટીમ તથા આદરણીય વાલજીભાઈ પટેલના અમૂલ્ય માર્ગદર્શન તથા મહેતનના કારણે એક સારું કાર્ય સપંન્ન થયું તેનો અમને આનંદ છે. ચાર દિવાલોની અંદર ભાષણ કરતા જે આનંદ મળે છે તેના કરતા અનેકગણો, છાપાઓમાં પોતાનું નામ શોધતા જ્યારે તે એક ખૂણામાં દેખાય છે ત્યારે તેનાથી મળતા બાલિશ આનંદ કરતા પણ સહસ્ત્રગણો આનંદ અમને આ કાર્યમાંથી મળ્યો છે. આવનારા દિવસોમાં સૌ સાથી સંગઠિત થઇને આપણા બેબસ લોકો માટે કામો કરતા રહેશે તેવી આશા કરવી અનિચ્છનીય નથી.    

1 ટિપ્પણી: