કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 4 એપ્રિલ, 2012

જય ભીમ કોમરેડ



‘જય ભીમ કોમરેડ' આનંદ પટવર્ધનની સુંદર, વિલક્ષણ દસ્તાવેજી ફિલ્મ છે. એક સામ્યવાદી માટે ‘જય ભીમ' શબ્દ વ્યક્તિપૂજાનો શબ્દ હશે કે એક આંબેડકરવાદી માટે ‘સામ્યવાદ' નિષ્ફળતા અને દગાબાજીથી ગંધાતો શબ્દ હશે. આનંદે બે શબ્દોનું સંયોજન કર્યું છે અને હકીકતમાં તેમણે બે વૈશ્વિક દ્રષ્ટિકોણોને એકબીજા સાથે જોડ્યા છે, જે દ્રષ્ટિકોણોએ વિશ્વમાં કરોડો લોકોના જીવન પર ગંભીર અસર કરી છે.

આ ફિલ્મમાં આનંદે દલિત આંદોલનના એક ખાસ તત્વને ઉજાગર કર્યું છે: આશાવાદ સંઘર્ષ, જુસ્સો અને બળનું તત્વ. મારે મન આ તત્વ અમૂલ્ય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઉત્તરપ્રદેશમાં માયાવતીના પ્રાદુર્ભાવ પછી દુનિયાએ ‘દલિત' શબ્દને ‘સત્તા'નો પર્યાય સમજવાનું શરૂ કર્યું છે. રમાબાઈ કોલોનીમાં બાબાસાહેબના પૂતળાને ખાસડાનો હાર પહેરાવવાની ઘટના ફિલ્મના કેન્દ્રમાં છે. એ ઘટના પછી દલિતોનો રોષ બતાવ્યો છે અને પોલીસે કઈ રીતે એલપીજી ટેન્કર બાળવાનું કૃત્ય દલિતોના માથે નાંખીને ફાયરિંગને ઉચિત ઠેરવવા બનાવટી વિડિયો ફિલ્મ તૈયાર કરી એ પણ ફિલ્મમાં બતાવ્યું છે. એ વખતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી.

પોલીસ ફાયરિંગમાં થયેલી દલિતોની નિર્મમ હત્યાથી હચમચી ગયેલા દલિત કવિ વિલાસ ઘોઘરેની આત્મહત્યા પાછળના કારણો દિલને કંપાવી મુકનારા છે. ભાઈ સંગારેની હત્યાનું કાવત્રુ બીજો ભયાનક વજ્રપાત છે. એમના પ્રવચનોથી ફિલ્મમાં એમનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે. વિલાસના ગીતો ઉકરડાના મળને વેંઢારવાના સંઘર્ષમાંથી સર્જાયા છે. દેશના આર્થિક પાટનગર મુંબઈને રૂપાળું, ચોખ્ખું રાખવા પોતાના આંગળા, નખ ને શરીર ગૂ-ગંદા કરનારા દલિતોની એ કહાની છે. વિલાસની વાત દલિતો અને સર્વહારાઓના ઉત્થાન માટે પોતાની જીંદગીઓ કુરબાન કરી દેનારા સેંકડો શહીદોની કથા બને છે.

આનંદ કહે છે તેમ આ ફિલ્મને પૂરી કરતા તેમને ૧૪ વર્ષ થયા. આ કોઈ સાધારણ દસ્તાવેજી ફિલ્મ નથી. દેશના અન્ય રાજ્યોના આટલા જ તીવ્ર અને ઉંડાણવાળા સંઘર્ષોને એમાં વણી લેવામાં આવે તો તે અખિલ ભારતીય અપીલ ધરાવવાની ક્ષમતા ધરાવે છે. જીવનનું આ કદી વિસરી ના શકાય તેવું ચિત્ર નિહાળતી વખતે હું રડ્યો છું. રમાબાઈ કોલોનીના હત્યારા ઇન્સ્પેક્ટર કદમને હજુ સજા થઈ નથી અને લોકોની વાત કરનારા કબીર કલા મંચના સાથીઓને પોલીસ દમનથી બચવા અન્ડરગ્રાઉન્ડ જવું પડે છે. સમગ્ર દેશના દલિતો-વંચિતોના સંઘર્ષની આ જ તો દાસ્તાન છે.

અસ્પૃશ્યતાની સાધારણ દસ્તાવેજી ફિલ્મોમાં પોલિટિક્સનો સંદર્ભ હોતો નથી. દારૂની કોથળી પીવડાવીને એક મજબૂર સફાઈ કામદારને ગટરમાં ઉતારીને કલાત્મક દસ્તાવેજી ફિલ્મ બનાવી શકાય છે, લોકોની તાલીઓ ઉઘરાવી શકાય છે, આતંરરાષ્ટ્રીય એવોર્ડો પણ મેળવી શકાય છે, પરન્તુ વિચારાધારા અને પોલિટિક્સનો સંદર્ભ જોડવો જરૂરી છે. પ્રોજેક્ટ-આધારીત એનજીઓ આ મામલામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

આનંદ પટવર્ધનનો આ ઝુઝારુ પ્રયાસ આ સંદર્ભોમાં અભિનંદનને પાત્ર છે. હાલની ક્ષણે, દેશના એક મહાન કલાકારને મારા લાલ સલામ અને જય ભીમ.

આઈઆઈએમ, અમદાવાદમાં ફિલ્મના સ્ક્રીનિંગ ટાણે
આનંદ પટવર્ધનને લાલ સલામ અને જય ભીમ

1 ટિપ્પણી:

  1. excellent appreciation, Raju.

    and hats off, Anand.

    i was there in the IIM auditorium with my son Swaman and i fully agree the film is most appealing. i have never seen any other documentary on dalits more evocative. as everybody else, i too had heard about Patwardhan's mastery of the medium but it is his deep sensitivity and understanding that commands all the more respect.

    જવાબ આપોકાઢી નાખો