કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 7 એપ્રિલ, 2013

સમાનતાનો સંઘર્ષ કોના માર્ગે

હમણાં એક પત્રીકા વાંચવા મળી. તેનું શીર્ષક છે "સમાનતાના સંઘર્ષની શોભાયાત્રા" ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે નીકળનારી એક શોભાયાત્રામાં જોડાવા માટેની આ પત્રીકા છે. આયોજકોને શોભાયાત્રા કાઢવા બદલ અભિનંદન, પરંતુ પત્રીકામાં લખ્યું છે, "ગાંધી-આંબેડકરના વિવાદને આ બંને મહાનુભાવોની ગેરહાજરીમાં સતત વકરાવવામાં આવી રહ્યો છે." આ લીટી વાંચ્યા પછી થાય છે કે આ વાક્ય કેટલું સાચુ છે? બાબાસાહેબની જન્મજયંતી માટેની પત્રીકામાં આવું લખવાની જરૂર કેમ પડી? શું બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી ઉજવાય ત્યારે લોકો આંબેડકરને યાદ કરે છે? જવાબ છે ના. તો પછી આંબેડકર જયંતીએ આપણે ગાંધીને શા માટે યાદ કરવા જોઇએ? અને હવે જો કોઇએ ગાંધીને યાદ કરી જ લીધા છે તો આપણે જાણવું જોઇએ કે ગાંધી-આંબેડકર વચ્ચે ખરેખર કોઈ વિવાદ હતો કે કેમ. અને જો વિવાદ હતો તો શું આ વિવાદ દેશના હિતમાં હતો? આ વિવાદથી કોની જાગીર લૂંટાવાની હતી અને હવે પછી લૂંટાશે? મને લાગે છે કે આ વિવાદની હવે ચર્ચા થાય તે જરૂરી છે. 

એક વાત નિર્વિવાદ છે કે બાબાસાહેબ સમગ્ર દેશની ધરોહર છે. એમના વિચારો અને વિચારાધારા ઉપર આ દેશનું નિર્માણ થયું છે અને આવનારા દિવસોમાં એમના વિચારોને વધુ ને વધુ સ્વીકૃતિ મળવાની છે. સુજ્ઞજનો સાચુ કહે છે કે એકવીસમી સદી ડો. બી. આર. આંબેડકરની છે. 

બાબાસાહેબ કોને વહાલા નથી? બધા પક્ષના રાજકારણીઓ બાબાસાહેબની આરતી ઉતારે છે. કોંગ્રેસ અને ભાજપ પોતપોતાના હિતો માટે બાબાસાહેબના ગુણગાન ગાય છે. બાબાસાહેબની જન્મજયંતી આવે એટલે બાબાસાહેબની વિચારધારાની વાત થાય તો એમાં કશું ખોટું નથી. આ દેશમાં કદાચ બાબાસાહેબ જ એક એવા વ્યક્તિ છે, જેમણે સમગ્ર જિંદગી દરમિયાન વીસથી વધારે મહા ગ્રંથોના વીસ હજારથી વધારે પાના ભરીને ચિંતનાત્મક લખાણ લખ્યું. એમને ખબર હતી કે આજે નહીં તો કાલે મારા લોકો મારા પુસ્તકો વાંચશે અને તેમની સાથે આ દેશમાં મનુવાદે કેવી છેતરપીંડી કરી છે તેનાથી વાકેફ થશે. 

બાબાસાહેબ તેમના જીવનકાળ દરમિયાન આ દેશના પ્રખર નેતાઓના સંપર્કમાં આવ્યા. ખાસ કરીને મોહનદાસ ગાંધીની કોંગ્રેસ સાથે તેમને તીવ્ર વૈચારિક મતભેદો હતા. બાબાસાહેબ છાશ લેવા જાય અને દોણી સંતાડે તેવા ડોળઘાલુ રાજકારણી નહોતા. કાણાને કાણો કહેવો, સાચી વાત કહેવી, ભલે કડવી લાગે, પણ કહેવી જરૂર. એ બાબાસાહેબનો સિદ્ધાંત હતો. કેમ કે તેમને મોહનદાસ ગાંધી નામના ઇસમ સાથે વ્યક્તિગત નહીં, બલકે વૈચારિક મતભેદ હતો. બાબાસાહેબે પુના કરાર નામની દુર્ઘટના અંગે તેમના ઐતિહાસિક ગ્રંથ "વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનટચેબલ્સ?"માં વિસ્તારથી લખ્યું. કઈ રીતે પાલતુ "હરીજન" રાજકીય ભિખારી નામની પોલિટિકલ હાઇબ્રિડ સ્પીસીઝનો આઝાદી પછી કોંગ્રેસની સર્વભક્ષી લેબોરેટરીમાં જન્મ થયો તેની તથ્યપૂર્ણ, તલસ્પર્થી રજુઆત બાબાસાહેબે આ કિતાબમાં કરી હતી. આ દેશનો રાજકીય ઇતિહાસ સમજવા માગતા તમામ અભ્યાસુઓએ બાબાસાહેબના પુસ્તકના પાને પાના આખે આખા પીવા પડે તેવી દમદાર સંશોધનાત્મક સામગ્રી તેમાં ધરબાયેલી પડી છે. 

મોહનદાસ ગાંધીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી, પરંતુ તેની બાગડોર સવર્ણોના હાથમાં સોંપી હતી. ગાંધી આ દેશમાં ઉપલી જાતિઓ-ઉપલા વર્ગોનું વર્ચસ્વ સ્થાપવા માગતા હતા અને તેમને આ દેશના મૂડીપતિઓ તાતા, બિરલા, બજાજ, સારાભાઈનું સો ટકા સમર્થન હતું. આજે અનીલ અંબાણી જેમ નરેન્દ્ર મોદીને એનો બાપ બનાવે છે એમ એ વખતે જમનાલાલ બજાજે મોહનદાસ ગાંધીને બાપ બનાવ્યા હતા. રાજકારણી બાપ અને દીકરો વેપારી. પરંપરા નવી નથી. પરંતુ, બાબાસાહેબ આ દેશમાં દલિત-આદિવાસી-લઘુમતી-પછાત સહિતના મૂળ નિવાસીઓ, શુદ્રો, વંચિતો, ગરીબોનું રાજ લાવવા માગતા હતા. તેઓ રણ મેદાનમાં સાવ એકલા અટુલા હતા. બાબાસાહેબે જે સંઘર્ષ કર્યો છે તેની સામે મોહનદાસના કહેવાતા સત્યાગ્રહો તો પિકનિક પાર્ટી જેવા છે. પારાવાર ગરીબીમાં વહાલસોયા બાળકો દવા વિના મરી જાય, જીવનસંગીની રમામાઈ લોકોના ઘરોના કચરા પોતા કરતા કરતા બિમારીમાં દમ તોડે અને છતાં બાબાસાહેબ દલિતો-શોષિતોની મુક્તિનું મિશન ચલાવવામાં પાછા ના પડે. 

બીજી ગોળમેજી પરિષદમાં શું બન્યું તેનું વિગતે બયાન બાબાસાહેબ કર્યું છે એ વાંચવા જેવું છે. ગાંધીજીને જ્યારે લાગ્યું કે દલિતો-શીખો-મુસલમાનોને અલગ મતાધિકાર આપવામાં આવશે તો કોંગ્રેસની જાગીર લૂંટાઈ જશે, ત્યારે તેઓ લંડનની રીટ્ઝ હોટલમાં ઉતરેલા મુસ્લીમ પ્રતિનિધિમંડળને મળવા ધસી ગયા. કોઇ પણ હિસાબે દલિતોને અલગ મતાધિકાર ના મળે એ માટે તેમણે છેલ્લો ઉપાય અજમાવ્યો હતો. તેમના હાથમાં કુરાન હતું. આગાખાનની આગેવાની હેઠળ હોટલમાં ઉતરેલા મુસ્લીમ પ્રતિનિધિઓને મોહનદાસ ગાંધીએ કહ્યું, "મને બતાવો, કુરાનમાં ક્યાં લખ્યું છે કે તમારે દલિતોને સમર્થન આપવું?" બાબાસાહેબ લખે છે કે મુસલમાનોએ ગાંધીની વાતનો કોઈ જ જવાબ આપ્યો નહીં. તેઓ જવાબ આપવા માગતા પણ નહોતા. આ સમગ્ર ઘટનાનું દિલચશ્પ બયાન બાબાસાહેબે કર્યું છે.

ગોળમેજી પરિષદમાં નિષ્ફળતા વહોર્યા પછી ભારત પરત ફર્યા બાદ મોહનદાસ ગાંધીએ યરવડા જેલમાં એ કોમી ચુકાદાની વિરુદ્ધમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, જે કોમી ચુકાદામાં દલિતોને અલગ મતાધિકાર મળ્યો હતો. ગાંધી દલિતોને સવર્ણોની ચુંગાલમાંથી છુટવા દેવા માગતા નહોતા. એમને ખબર હતી કે આ દલિતો સવર્ણોની ચુંગાલમાં રહેશે તો આઝાદી પછી સવર્ણોની આગેવાની હેઠળના રાજકીય પક્ષોમાં અનામતની ભીખ માગતા રહેશે અને ક્યારેય સત્તા હાંસલ કરી શકશે નહીં અને એવું થશે તો સમગ્ર દેશમાં ઉપલી જાતિઓ-ઉપલા વર્ગોનું અધિપત્ય સ્થપાશે અને દલિતો માથુ ઉંચકવા જશે તો પણ એમને સવર્ણો જીવતા સળગાવી શકશે. દેશમાં કહેવાતી લોકશાહીના નાટકો દર પાંચ વર્ષે ચાલતા રહેશે. દલિતો હિન્દુ તરીકે ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ હિન્દુવાદી પાર્ટી તેમને હિન્દુત્વના નામે ઉશ્કેરી પણ શકશે અને દેશમાં રામરાજ્ય ચાલુ રહેશે. 

બીજી તરફ, બાબાસાહેબને પણ આ અમંગળ ભાવિના એંધાણ થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ લાચાર હતા. એક તરફ સમગ્ર દેશનું એસ્ટાબ્લિશમેન્ટ હતું અને સામે બાબાસાહેબ એકલા જ હતા. તેઓ યુદ્ધ હારવાના હતા અને હારી ગયા. ભયાનક વિષાદની એ ક્ષણોમાં બાબાસાહેબ કહ્યું કે ગાંધી મોસંબીનો જ્યુસ પી ગયા અને છોતરા મારા લોકો પર નાંખ્યા. આજે ગાંધી ચીંધ્યા માર્ગે આ દેશમાં લોકશાહીનું મહાન નાટક ચાલી રહ્યું છે. આ દેશના મૂડીપતિઓ મિસ્ટર ગાંધીના ઋણી છે. ગાંધીનું ઋણ ચુકવવવા જ તેમણે રૂપિયાની નોટો પર ગાંધીને છાપ્યા છે. એક સામાન્ય રાજકારણીને પણ ગાંધીના મહત્વની ખબર છે અને કરોડોના ખર્ચે મહાત્મા મંદિર બનાવે છે. બધાને ખબર છે. ગાંધીના નામે હજુ ગઠીયા તરે છે અને તરવા માગે છે. 

મુદ્દો એટલો જ છે કે આ દેશ ગાંધીના એજન્ડા પ્રમાણે ચાલશે કે બાબાસાહેબના એજન્ડા પ્રમાણે? તમે આ દેશમાં રામ રાજ્ય સ્થાપવા માગો છો કે શંબુક રાજ્ય? તમે આ દેશમાં દ્રોણને આચાર્યપદે સ્થાપવા માગો છો કે એકલવ્યને? તમે સામાજિક-આર્થિક-રાજકીય-સાંસ્કૃતિક તમામ મોરચે દલિત-આદિવાસી-મૂળ નિવાસીની નેતાગીરી સ્થાપવા માગો છો કે પછી તાતા-બિરલા-અંબાણી જેવા મૂડીપતિઓ અને સિંઘલો-સંકરાચાર્યો-સ્વામીઓ-બાવાઓનું વર્ચસ્વ સ્થાપવા માગો છો? તમે બાબાસાહેબના એજન્ડા પ્રમાણે ખેતીલાયક જમીનનું રાષ્ટ્રીયકરણ કરીને દલિતો-શોષિતોને ખેડવા જમીનો આપવા માગો છો કે જમીનદાર મૂડીપતિઓનું રાજ લાવવા માગો છો?

5 ટિપ્પણીઓ:

  1. raju sir khulla dile lakhayel vakya kyarek koi vyakti nu jivan badki nakhe chhe ho... mane khub j gamyu .

    જવાબ આપોકાઢી નાખો
  2. આ સંદર્ભે આ પોસ્ટના વાચકોને 'દલિત અધિકાર'માં નિમેશ શેઠે લખેલો લેખ વાંચવાની ખાસ ભલામણ કરું છુ, સાથે સાથે એ જ સામાયિકમાં પ્રગટ થયેલો એસ. આનંદનો લેખ પણ એટલો જ પ્રસ્તુત છે. આજકાલ દલિત સાહિત્યકારો અને કર્મશીલોમાં ગાંધીવંદનો ખાસ ઊભરો આવ્યો છે. એટલી હદ સુધી કે પોતાના પુસ્તકોમાં જેઓ ગઇ કલ લગી આંબેડકર કે માર્કસ ના અવતરણો ટાંકતા હતા, તેઓ હવે ગાંધીના અવતરણો ટંકે છે. પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે જ્યારે તેઓ ગાંધીના વકીલ થઈને આંબડકરને હિણા ચીતરવા ગાંધીની ગોળમેજી પરિષદની દલીલો ટંકે છે. ગુજરાતી દલિત સાહિત્યના પ્રમુખ અને જેમને 'સવાઇ દલિત સાહિત્યકાર' નું બિરુદ આ સંસ્થાએ આપ્યું છે તવા શ્રી પ્રવીણ ગઢવીએ તેમના પુસ્તક ગુજરાતી કવિતાના અનુવાદના પુસ્તક ' poet's voice' માં એક આખા સ્વતંત્ર પાનની જગા ગાંધીના ચબરાક અવતરણને ફાળવી છે ! એ અવતરણ જે આંબેડકરને દલિતોના પ્રતિનિનિધિ તરીકેની બ્રિટિશરોની માન્યતાને રદ કરવાના હેતુથી ગાંધીએ કરી હતી !

    જવાબ આપોકાઢી નાખો
  3. સમાનતા અને ભેદભાવ જેવા સામાજિક અન્યાયો સામે સિવિલ રાઇટ્સની ચળવળો માટે માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા અને બરાક ઓબામા જેવા અશ્વેત નેતાઓ ગાંધીને અનુસરતા હોય એ તો તેમની ગાંધી વિષેની અપૂરતી જાણકારીનું પરિણામ હોઈ શકે, પણ 'વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધી અનટચેબલ્સ? ', 'હરિજન' સમસ્યા, વર્ણ અને જ્ઞાતિપ્રથની તથા જ્ઞાતિઆધારિત અસ્વચ્છ વ્યવસાયો, રામરજયની સ્થાપનાનું સ્વપ્ન અને સનાતની હિન્દુ ધર્મની હિમાયત -- આ સૌ વિષે જાણ્યા છતા દલિત રાજકારણીઓ, દલિત સાહિત્યકારો, દલિત કર્મશીલો વગેરે સૌ ગાંધીને માથે મૂકીને ચાલે છે ત્યારે તો જરૂર તેમના આશયો હિન્દુઓના વ્યાપક સમાજની માન્યતા પ્રાપ્ત કરી પોતાને કે પોતાની સંસ્થાને કે પોતાની નેતાગીરી હેઠળ ચાલતા સાહિત્યિક કે સામાજિક આંદોલનને માટે 'રેક્ગ્નિશન' અને 'એક્સેપ્ટન્સ' મેળવી લેવાનો લાગે છે !

    જવાબ આપોકાઢી નાખો
  4. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. ખબર નહિ કેમ કહેવાતા દલિતલેખકોને ગાંધીપ્રેમનો આફરો ચડ્યો છે. પહેલા જાણી લઈએ કે હું પ્રયોજતા 'ગાંધીજી' નામ માટે 'ગાંધી' નો હિમાયતી છું,'જી' મને ખપતા નથી. એ વાત તો પાકી છે કે ગાંધી એ નાખેલા રોડા ને કારણે ઘણું સહન કર્યું છે. ના તો ચરખો હાલ્યો,ન તો ખાદીનો ધોળો દરિયો દેખાણો,ન હિંદુ મુસ્લિમ એકતા થઇ અને એથીય વિશેષ ન તો અછુત્તોદ્વાર થયો. કહેવાતા ગાંધીપ્રેમી દલિત લેખકો એ થોડો ગાંધી ઈતિહાસ વાંચવો જોઈએ,સુવા માટે તો ગાંધી 1919-1920 માં પણ દલિત વસ્તીમાં આવીને સુઈ સકતા હતા.ઈતિહાસ માટે જાતિના કહેવાતા ગાંધીપ્રેમી દલિત ચિંતકોએ એ વાત પીછાણી લેવી જોઈએ કે ગાંધી દલિત વસ્તીમાં પહેલા ક્યારે સુવા ગયા? એ સમયના પાચ વરસ પહેલાનું ઐતિહાસિક ઘટનાક્રમ ચકાસો કે દેશમાં એ સમયે શું થઇ રહ્યું હતું. આ બધી પીછાણી લીધા પછી તો નહિ લખો કે ગાંધી હરીજન વસ્તીમાં સુતા હતા.

    જવાબ આપોકાઢી નાખો